(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વાપી, તા.20: દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સારવારની દિશામાં એક મહત્ત્વનું સોપાન સર કરતાં ધરમપુરમાં આવેલ ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે આ વિસ્તારની પ્રથમ જ બાયપાસ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી! આ સાથે જ અહીંની વિશાળ ગ્રામીણ પ્રજા માટે ઉચ્ચ આરોગ્ય સારવારના દ્વાર ખુલી ગયા છે.
ધમની ગામના રહેવાસી, 52 વર્ષિય લક્ષીભાઈ વાંકને હૃદયની 3 નળીઓ બ્લોક હોવાનું નિદાન થયું હતું. અગાઉના સમયમાં તેમને સૂરત જઈને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હોત પણ જે પ્રકારની તેમની આર્થિક સ્થિતિ છે તે જોતાં તેઓએ ત્યાં જવાનું વિચાર્યું પણ નહોત. પણ તેમના સદ્ભાગ્યે તેઓ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં આવ્યા અને અહીં તેમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું. સુરતના સુપ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડો.રવિસાગર પટેલ અને તેમની ટીમે અહીં તેમના પર 12મી નવેમ્બરે સફળતાપૂર્વક બાયપાસ સર્જરી કરી. શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને મેડિકલ ટીમે તેમની અત્યંત કાળજીપૂર્વક સંભાળ લીધી હતી અને તેઓ સર્જરી બાદ ભાનમાં આવી વાતો કરતાં સર્વેએ આનંદની લાગણી અનુભવી હતી. બાયપાસ સર્જરી બાદની અત્યંત મહત્ત્વપૂર્ણ સારવાર પણ તેમને અહીં આપવામાં આવીહતી. સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેઓને તા.19 નવેમ્બરે રજા આપવામાં આવી હતી. તેઓ હાલતાં ચાલતાં ખુશીથી પોતાના પરિવાર સાથે ઘરે પરત ફર્યા છે! આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ સમગ્ર સર્જરી સદ્ન નિઃશુલ્ક કરવામાં આવી છે.
એક સમય હતો જ્યારે ઉચ્ચ આરોગ્ય સારવાર આ ગ્રામીણ પ્રજા માટે સ્વપ્નવત્ હતી. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીની કરુણામય અને દૂરદર્શી દૃષ્ટિએ આ વિસ્તારમાં ઉચ્ચ આરોગ્ય સારવારની પરિકલ્પના કરી અને તે સાકાર થઈ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ રૂપે. ગ્રામીણ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે તેવી વિશ્વસ્તરીય સુવિધાઓ અને દરેક પ્રકારની ઉચ્ચ સારવાર ધરાવતી આ ચેરિટેબલ હોસ્પિટલ નિષ્ઠાવંત નિષ્ણાત ડોક્ટરો તેમજ સહાનુભૂતિપૂર્ણ સ્ટાફથી સુસજ્જ છે. ઉચ્ચ માળખાકીય સુવિધાઓ અને ઉપકરણો જેમ કે સી.ટી. સ્કેન, કેથ લેબ, એન્જિયોગ્રાફી સાથે જ કુશળ આઈ.સી.યુ. ટીમ, ઓ.ટી. ટીમ વગેરેનો પણ સર્જરીની સફળતામાં મોટો ફાળો છે.
ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીના પાવન નામ અને ગુરુદેવ રાકેશજીના કરુણામય માર્ગદર્શનથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ પર આશીર્વાદ વરસાવતાં પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે, ‘‘શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં દવા તો કામ કરશે જ, પણ શ્રીમદ્ રાજચંદ્રજીની દુઆ વધુ કામકરશે.”
આમ આધુનિક સુવિધાઓ, માનવીય અભિગમ અને સંતોના આશિષનો ત્રિવેણી સંગમ એવી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ આ વિસ્તારમાં વરદાનરૂપ બની આરોગ્ય સેવાઓની હરણફાળ ભરી વિશાળ જનસમૂહને આરોગ્ય પ્રદાન કરી રહી છે.