દમણના દરિયા અને નદીઓને ચોખ્ખા, ચણાંક અને સ્વચ્છ રાખવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા તંત્રએ શરૂ કરેલી કવાયત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાને ચોખ્ખું, ચણાક, સ્વચ્છ અને ગ્રીન સિટી બનાવવા માટે સતત સ્વચ્છતા અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દમણ કલેક્ટર કચેરીના સભાખંડમાંડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાની અધ્યક્ષતામાં વિવિધ સમાજ અને ધાર્મિક આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વિવિધ તહેવારો દરમિયાન નદી અને દરિયાને પ્રદૂષિત કરતા પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષિત સામગ્રીથી વિસર્જન અટકાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેકટરશ્રીએ વધતા પ્રદૂષણને રોકવા માટે તમામ વિવિધ સમાજના ધર્મગુરુઓ પાસેથી સૂચનો માંગ્યા હતા. આ ક્રમમાં, તમામ સમાજના ધર્મગુરૂઓએ તેને રોકવા માટે પૂજા સામગ્રી અને કચરાને અલગ કરવા માટે સૂચનો આપ્યા હતા. ધર્મગુરુઓએ જણાવ્યું કે, પૂજા સામગ્રીની સાથે પ્લાસ્ટિકનું વિસર્જન ન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓમાં જાગૃતિ લાવવાની જરૂર છે.
આ બેઠકમાં ડેપ્યુટી કલેકટરશ્રીએ નદી અને દરિયામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય સામગ્રીઓથી નદીને પ્રદૂષિત કરવા તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચ્યા બાદ પીવાનું પાણી દૂષિત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અવારનવાર દમણગંગા નદીના કિનારે અથવા પુલ પર લોકો આસાનીથી નદીમાં પૂજા સામગ્રી સાથે પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષણ ફેલાવતી સામગ્રી ફેંકતા જોવા મળે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને તમામ ધર્મગુરુઓએ તમામ નાગરિકોને અપીલ કરવી જોઈએ કે, સામગ્રીમાંથી પોલીથીનઅલગ કરી નદીમાં વિસર્જન કરવું. પૂજાની સામગ્રી પાણીમાં વહી જવા અંગે જાગૃતિ લાવવા અપીલ કરી હતી, જેથી આપણે સૌ સાથે મળીને પર્યાવરણ અને જળ પ્રદૂષણને અટકાવી શકીશું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી અને બિનસરકારી સ્તરે પોતપોતાની રીતે શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત લોકોને જાગૃત કરવાની દિશામાં પણ ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક પ્રસંગોમાં નદીઓનું ઘણું મહત્વ છે, એ વાતને નકારી શકાય નહીં અને લોકો પાસેથી આ અધિકાર છીનવી ન શકાય, પરંતુ નદી અને દરિયાને જળ પ્રદૂષણથી બચાવવા માટેનો માર્ગ શોધવાની પણ જરૂર છે. જેથી લોકોના શ્રદ્ધાને ઠેસ પહોંચતી નથી અને તે દૂષિત પણ થતી નથી.
અંતે, તમામ ધર્મગુરુઓએ વધી રહેલા પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અને તેના નિવારણમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.