પોલીસ કે.હો. ખંડારેને માન-સન્માન સાથે આપવામાં આવેલી આખરી વિદાય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં ફરજબજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી હરી ટી. ખંડારેને ફરજ દરમિયાન હૃદય રોગનો હૂમલો થયો હતો જેમાં તેમનું હોસ્પિટલમાં મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ શ્રી હરિ ખંડારેને મોડી રાત્રે દાનહની બેંક ઓફ બરોડામાં ફરજ ઉપર હતા તે દરમિયાન તેમને હૃદયરોગનો હૂમલો થયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સવારે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ અધિક્ષક શ્રી આર.પી.મીણા, ટ્રાફિક એસ.પી. શ્રી અનુજ કુમાર, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ડી.એસ.પી. શ્રી એન.એલ.રોહિત, ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી તથા દાદરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શ્રી શશીકુમાર સિંહ, પી.એસ.આઈ. શ્રી અનિલ ટી.કે , પી.એસ.આઈ. જ્યોતિ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હેડ કોન્સ્ટેબલ હરિ ટી. ખંડારેને પુષ્પચક્ર તથા પુષ્પ અર્પણ કરી સલામી આપી હતી.
આ સમાચાર મળતા જ સમગ્ર વિભાગ તથા પ્રદેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ વિભાગ દ્વારા તેમને માન-સન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવી હતી.
હરિ ટી. ખંડારે 1992માં કોન્સ્ટેબલ તરીકે ફરજ પર જોડાયા હતા અને 2014માં તેમને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું હતું. હેડ કોન્સ્ટેબલ હરિખંડારે તેમની પાછળ એક પુત્ર અને પત્નીને છોડી ગયા છે. એસ.પી. શ્રી આર.પી.મીણોએ જણાવ્યું હતું કે તેમના પરિવારને નિયમાનુસાર મળતા તમામ લાભો મળશે.