(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રમેશભાઈ રામુભાઈ પટેલ (રહે.પીપલગભણ પેલાડ નાયકીવાડ તા.ચીખલી) જે રવિવારની સવારના સમયે પોતાના કબ્જાની બજાજ મોટર સાયકલ નં. જીજે-15-ઈઈ-6648 લઈ દીકરી શ્રુતિ અને દીકરો કીર્તન સાથે પીપલગભણ થી નીકળી આલીપોર સાસરે ગયા હતા.બાદ સાસરેથી એંધલ ખાતે રહેતા બાપુજીને લેવા માટે પુત્ર-પુત્રી સાથે જઈ રહ્યા હતા. દરમ્યાન આલીપોર-ચીખલી રોડ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ એક મારૂતિ ઈકો વાન કાર નં. જીજે-15-સીકે-7275ના ચાલકે રમેશ પટેલની મોટર સાયકલ સાથે અકસ્માત કરતા પુત્ર અને પુત્રી સર્વિસ રોડ પર પટકાતા પુત્ર કીર્તન (ઉ.વ.આ. 4.પ વર્ષ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અકસ્માતમાં પુત્રી શ્રુતિને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે પિતા રમેશ પટેલને ડાબા પગ ઉપર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવમાંપોલીસે અજાણ્યા ઈકો વાનના ચાલક વિરુધ્ધ અકસ્માતના બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઇ શ્રી જે.બી.જાદવ કરી રહ્યા છે.