લૂંટારુને વૃદ્ધે હાથ જોડીને તસ્કરોને કહ્યું મારા ગળાની ચેન આપી દઉં છું પરંતુ અમારા પૈકી એકને પણ મારતાં નહિ મારી નાંખવા હોય તો બંનેને મારજો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.13: સાદકપોર ગોલવાડ ખાતે રહેતા અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વૃધ્ધ દંપતિના ઘરે રાત્રિના સાડા આઠે વાગ્યાના અરસામાં પાંચેક જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્પુ ટાંકી ‘ચલો ખડે હો જાઓ, ગરબડ મત કરના અવાજ મત કરના જો કુછ ભી હો વો દિખાવો’ તેમ કહી ધમકાવી સોનાની ચેઈન, મંગળસૂત્ર, રોકડ, મોબાઈલ ફોન સહિત રૂમ.50,000/-ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટારુઓના સ્ક્રેચ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીને અડીને આવેલા સાદકપોરના ગોલવાડમાં ચીખલી-ખેરગામ મુખ્ય માર્ગ સ્થિત લક્ષ્મણ નિવાસમાં ફરિયાદી લક્ષ્મણ ઝીણાભાઈ પટેલ (ઉમર વર્ષ 65) અને તેમની પત્ની ભીખીબેન પટેલ (ઉ.વ.65) સાથે સોમવારની રાત્રે આઠેક વાગ્યેજમી પરવારીને ટીવી જોઈ રહ્યા હતા તે દરમિયાન સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો હોય બે જેટલા અજાણ્યા વ્યક્તિઓ ધસી આવ્યા હતા અને તેમના કહેવાથી અન્ય ત્રણ જેટલા આવી તેમાંના એકે લક્ષ્મણભાઈને ચપ્પુ મારવા ટાંકી હિન્દીમાં જણાવેલ કે ‘ચલો ખડે હો જાઓ, ગરબડ મત કરના, અવાજ મત કરના, જો કુછ ભી હો વો દિખાવો’ ત્યારે તેમણે જણાવેલ કે મારા ગળામાં ચેઇન છે. તે તમને આપી દઉં બીજું મારી પાસે કંઈ નથી. આ દરમિયાન તેમની પત્ની ઉપરના માળેથી નીચે ઉતરતાં 24 થી 25 વર્ષના અને પાછળ કાળા રંગની બેગ ભેરવેલ ઈસમ દાદર પાસે પહોંચી જઈ મોં દબાવી દીધું હતું અને તેમની પાસે 30 ગ્રામ વજનની સોનાની ચેઇન, બેડરૂમના પલંગના ગાદલા નીચે મુકેલ 8 ગ્રામ સોનાનું મંગળસૂત્ર, ટેબલના ખાનામાંથી રૂા.10,000/- રોકડા તથા એક બગડેલો સહિત ચાર જેટલા મોબાઈલ ફોન મળી રૂા.50,000/- ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.
લૂંટનો ભોગ બનનાર લક્ષ્મણભાઈ વર્ષોથી ચીખલીમાં લક્ષ્મણ ડેરી ચલાવે છે અને તેમના દીકરાઓ પરિવાર સાથે અલગ રહે છે તેથી આ વૃદ્ધ દંપતી એકલું જ રહેતું હોવાની જાણકારી લૂંટારાઓ અગાઉથી જાણતા હોય તેમ લાગે છે. આ બંગલામાં સીસીટીવી કેમેરા છે કે કેમ તે પણ લૂંટારાઓએઆવતાની સાથે જ પૂછી લીધું હતું અને આ લૂંટારુઓએ જણાવેલ કે કોઈને જણાવશો તો મારી નાખીશું તેવી ધમકી પણ જતા જતા આપતા ગયા હતા. વધુમાં ત્યાંથી ખેરગામ તરફ થોડી દૂર ચાલતા જ ગયા હતા.
રાત્રિના 8:30 વાગ્યાના બનાવની જાણ થતા રાત્રી દરમિયાન જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, ડીવાયએસપી એસ.કે.રાય, પીઆઇ કે.જે.ચૌધરી, પીએસઆઇ-સમીર જે.કડીવાલા, જયદીપસિંહ જાદવ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. સવારે પોલીસે સ્ક્રેચ બનાવડાવી એલસીબી ચીખલી સહિતની પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જોકે બનાવના સ્થળે કે આજુબાજુમાં સીસીટીવી કેમેરા ન હોય પોલીસને તપાસમાં મુશ્કેલી પડશે એવું જણાવ્યું રહ્યું છે.
ચીખલી પોલીસ સ્ટેશનથી ખૂબ જ નજીક અને વાહન વ્યવહારથી ધમધમતા ચીખલી ખેરગામ માર્ગ પરના આ લૂંટના બનાવને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ચીખલી પોલીસમાં હાલમાં એક પીઆઇ ઉપરાંત ચાર ચાર પીએસઆઈનો સ્ટાફ હોવા છતાં નબળી કામગીરી બહાર આવી રહી છે અને ચોરી જેવા બનાવો શિયાળાની શરૂઆતમાં જ વધતાં લોકોને ભયના ઓથાર હેઠળ રહેવાની બાબત આવી છે.
——-