વાપીથી સયાજીનગરીમાં સુરત જઈ રહેલો દેવેન્દ્ર રાજપૂત ટ્રેનમાં ચઢવા જતા પટકાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી, વલસાડ વચ્ચે વિતેલા 24 કલાકમાં રેલવે અકસ્માતના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. વલસાડ-સરોધી નજીક અજાણ્યા યુવકે ટ્રેનમાં પડતુ મુકી આપઘાત કર્યો હતો જ્યારે વલસાડ સ્ટેશન ઉપર ટ્રેનમાં ચઢવા જતા યુવક પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સરોધી નજીક રેલવે ટ્રેક ઉપર અજાણ્યા યુવકની ડેથ બોડી પડી હતી તેની જાણ પાયલોટે પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં એવું જણાયું છે કે, કોઈ સ્થાનિક યુવાન છે તેની પાસેથી કોઈ ઓળખના પુરાવા મળ્યા નથી તેથી વાલી-વારસોએ નજીકના પો.સ્ટે.નો સંપર્ક કરવા જણાવાયું છે. બીજા બનાવમાં વાપીથી સયાજી નગરી ટ્રેનમાં સુરત જવા નિકળેલો યુવાન દેવેન્દ્ર રાજપૂત વલસાડ પ્લેટફોર્મઉપર ઉતર્યો હતો. ટ્રેન ચાલુ થઈ જતા કોચ પકડવા જતા નીચે પટકાતા ગરકાવ થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડો.દિલીકાબેનએ પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી વાલી વારસોની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સયાજીનગરી ટ્રેનમાં અપ-ડાઉનની વધુ ભીડ થતી હોવાથી અકસ્માત અવાર-નવાર બનતા રહે છે.