જિલ્લામાં પુર તથા ભારે વરસાદના લીધે નુકશાન થયેલા ગામોની સ્થળ મુલાકાત કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૨૯
ભારત સરકારશ્રીના હોમ એફેર્સ(ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગના ઇન્ટર મિનિસ્ટ્રીયલ હોમ દ્વારા નવસારીમાં આવેલા પુર તથા ભારે વરસાદના લીધે થયેલા નુકશાન સબંધે આજે નવસારી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.
જે અંતર્ગત કલેકટર કચેરી, કાલિયાવાડી, નવસારી ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પુર દરમિયાન નુકશાન થયેલ વિવિધ વિભાગોની કામગીરીથી હોમ એફેર્સથી પધારેલ ઇન્ટર મિનિસ્ટ્રેયલ ટીમના સભ્યોને માહિતગાર કર્યા હતાં.
જિલ્લામાં વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ, પશુપાલન, આરોગ્ય, ઉર્જા વિભાગના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં થયેલા નુકશાન સબંધિત તમામ ટેકનીકલ માહિતીની વિગત દિલ્હીથી આવેલ ટીમને આપવામાં આવ્યું હતું. મીટીંગ પૂર્ણ થયા બાદ કલેકટરશ્રી તેમજ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ ભારે વરસાદ અને પુરના કારણે થયેલા નુકશાનની ઘટનાસ્થળે જાતમુલાકાત લીધી હતી.
જે અન્વયે ટીમ દ્વારા નવસારીથી વિરાવળ ખાતે પુર્ણા બ્રીજ પર જળસપાટીની માહિતી, તવડી ગામે સ્ટેટ રોડ તથા ખેતી નુકશાન, ખડસુપા પાંજરોપોળ, ચીખલી થાલા ગામમાં નીચાણવાળા વિસ્તાર, ગણદેવી તાલુકામાં ઉંડાચ બ્રીજ, કલમઠા પ્રાથમિક શાળા, છાપર ગામે પાવર સબ સ્ટેશન, મેંધર ગામે ઝીંગાના તળાવ, દેવધા, વાંસદા તાલુકાના પ્રતાપનગરના ગામે થયેલ નુકશાનની વિગતો મેળવી હતી. તેમજ નુકશાન થયેલા પરિવારોની પણ રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
દિલ્હીથી આવેલી ટીમની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાથે રહી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. આ અવસરે જિલ્લા પ્રભારી સચિવ શ્રી કે.કે.નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.