-
હવે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્રદેવતાઃ’નો સમય રહ્યો નથી, પોતાના રક્ષણ માટે નારીએ પોતે જ સજાગ બનવું પડશેઃ જિલ્લા કલેક્ટર
-
જિલ્લાની 20 સ્કૂલના ધો.9 થી 12 સુધીના કુલ 7પ00 વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.15
‘‘સંસ્કળતમાં જાણીતો શ્લોક છે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’ અર્થાત જ્યાં દીકરીઓ, મહિલાઓ અને માતાનું પૂજન થાય છે અને સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. પણ હવે દરેક સ્થળે આ સમય રહ્યો નથી. હવે નારીએ સજાગ બનવું પડશે અને પોતાના રક્ષણ માટે પોતે જ કટીબધ્ધ બનવું પડશે.” એવી વાત વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરમપુરની એસએમએસએમ હાઈસ્કૂલમાં સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગના શુભારંભ પ્રસંગે જણાવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, કરાટેની 3 દિવસની આ તાલીમમાં તમામ વિદ્યાર્થીનીઓ ઈન્વોલ્વ થઈ ગંભીરતાપૂર્વક તાલીમ લે એ જરૂરી છે. જેથી આકસ્મિક સંજોગોમાં સંજોગોમાં પોતાનો બચાવ કરી શકે. તાલીમમાં રસ લઈને શીખશો તો મસલ્સ અને માઈન્ડ ટ્રેઈન થશે જેના થકી પોતાનો સ્વબચાવની સાથે સાથે પ્રતિકાર પણ કરી શકશો. વિદ્યાર્થીનીઓ સેલ્ફ ડિફેન્સની આતાલીમમાં રસ બતાવશે તો લાંબા ગાળાની તાલીમનું પણ આયોજન કરીશું એવી હૈયાધરપત આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષક શ્રી બિપીનભાઈ પટેલે જણાવ્યું કે, જિલ્લાની 20 શાળામાં ધો. 9 થી 12ના કુમાર અને કન્યા મળી કુલ 7500 વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવશે. જેનો શુભારંભ એસએમએસએમ હાઈસ્કૂલથી થયો છે. જેમાં 300 કન્યા અને 200 કુમાર મળી કુલ 500 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ રહી છે.
આ તાલીમ 5 ડિગ્રી બ્લેક બેલ્ટ ધરાવનાર ગુજરાત રાજ્યના રોડ સેફટીના બ્રાંડ એમ્બેસેડર, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ગુજરાત રાજ્યના આઈકોન, 6 વાર ગીનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ફોર ઈન્ડિયા અને વર્ષ 2007 થી 2013 સુધી નવસારીમાં ચોવીસીની આર્ટ્સ એન્ડ કોર્મસ કોલેજના માજી આચાર્ય રહી ચૂકેલા વિસ્પી કાસદ અને થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ અને એશિયન બુક એન્ડ ઈન્ડિયન બુક રેકર્ડ હોલ્ડર રીટા દેસાઈ દ્વારા આપવામાં આવી રહી છે. આ તાલીમમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓને છેડતી, કિડનેપીંગ અને ચેઈન સ્નેચિંગ સહિતના બનાવોમાં કેવી રીતે પ્રતિકાર કરવો અને પોતાનો સ્વબચાવ કરવો એ અંગેની વિવિધ ટેકનિક પણ શીખવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રોબેશનરી આઈએએસ નિશાચૌધરી, ધરમપુરના પ્રાંત અધિકારી શ્રી કેતુલ ઈટાલિયા, એસએમએસએમ હાઈસ્કૂલના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ એમ. ચાવડા અને મોટી સંખ્યામાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન, આભારવિધિ અને સંચાલન એસએમએસએમ હાઈસ્કૂલના શિક્ષક પ્રકાશભાઈ ડી. પરમારે કર્યું હતું.