(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીતાલુકાના રાનવેરી ખુર્દ ગામના મહાદેવ ફળિયા સ્થિત આંગણવાડીના મકાનનું બાંધકામ દોઢેક વર્ષ પૂર્વે શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી, પરંતુ દોઢ વર્ષ જેટલો લાંબો સમય વિતવા છતાં આજે પણ બાંધકામ અધૂરી હાલતમાં છે. મહાદેવ ફળિયાની આંગણવાડીમાં હાલે 19 જેટલા ભૂલકાંઓ અભ્યાસ કરે છે અને આંગણવાડીના અધૂરા કામને પગલે ગુજરાતી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી કારકીદી ઘડતરની પા પા પગલી ભરી રહ્યા છે વરસાદમાં તો ભૂલકાંઓની સ્થિતિ કફોડી બની જવા પામી હતી.
ગ્રામજનો દ્વારા હલકી કક્ષાનો માલ સામાન બાંધકામમાં વાપરવામાં આવતા સ્થાનિકો દ્વારા એક સમયે કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને ગુણવત્તા પર માલસામાન વાપરવાની સૂચના આપતા એજન્સી કામ અધૂરું છોડીને જતી રહી હતી અને આજની તારીખે કામ પૂર્ણ ન થતા ભૂલકાંઓની હાલત કફોડી બની જવા પામી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ શરૂ કરાયું નથી ત્યારે સંબંધિત અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આંગણવાડીનું બાંધકામ ઝડપ થી પૂર્ણ કરાવે તે જરૂરી છે.
રાનવેરી ખુર્દના તલાટી કમ મંત્રી હસમુખભાઈ પટેલના જણાવ્યાનુસાર આંગણવાડીના બાંધકામમાં રેતીની ગુણવત્તા બાબતે પ્રશ્નોઉભો થતાં ગામના આગેવાનો દ્વારા કામ અટકાવતા લાંબા સમયથી કામ શરૂ થયું નથી.