આદેશનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલીના ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં ચાલુ મોર્રમ અને અન્ય ગૌણ ખનીજોના ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાનવેલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોરને માહિતી મળી હતી કે, દાનહ અને ડીડીના ખાનવેલ વિસ્તારમાં માટી, મોર્રમ અને અન્ય ખનીજોનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે જેમાં દાનહ ગૌણ ખનીજ નિયમ-2013નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે યુનિયન ટેરીટરીમાં લાગુ છે અને એનાથી યુ.ટી.ના મહેસૂલ વિભાગને પણ નુકસાન થઈ રહ્યું છે. આ રીતની ગતિવિધિઓ ખાનવેલ વિસ્તારની નદી, નાળા અને કુદરતી પ્રવાહને ગંભીર નુકસાનકર્તા છે. જેથી દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 144નો ઉપયોગ કરતા ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં દાનહ મિનરલ રૂલ્સ-2013નું ઉલ્લંઘન કરનારા તમામ વ્યક્તિઓને કોઈપણ ખનન ગતિવિધિઓમાં સામેલ થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાને ભારતીય દંડ સંહિતા 1860નીકલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.