સવારે 7 વાગ્યે નિકળેલી પ્રભાતફેરીમાં દમણ ભાજપની મહિલાઓ, જિલ્લા ભાજપ અને દમણ શહેર મંડળના પદાધિકારીઓ તથા નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા હાથમાં તિરંગો લઈને ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ધૂન ગાતા દમણના શહેરી વિસ્તારમાં ફરીને ચલાવેલું જનજાગૃતિ અભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10: સ્વતંત્રતાના પૂર્ણ થઈ રહેલા 75 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં દેશભરમાં અને આપણાં પ્રદેશમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમ તથા ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત લોકોને તેમના ઘર ઉપર તિરંગા ધ્વજ ફરકાવવા માટે જાગૃત અને પ્રેરિત કરવાના ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના પ્રભારી અનેરાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્યા રહાટકરના માર્ગદર્શનમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના દિશા-નિર્દેશમાં ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ અને દમણ શહેર ભાજપ મંડળના પ્રભારી શ્રીમતી સિંપલબેન કાટેલા અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાના સંયુક્ત નેતૃત્વમાં આજે સવારે 7:00 વાગ્યાથી એક પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. જે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિરથી લીમડી માતા મંદિર, જ્યુપિટર સુધી નીકળી હતી. આ પ્રભાત ફેરીમાં મહિલા મોર્ચાની મહિલાઓ, દમણ જિલ્લા ભાજપના અને દમણ શહેર મંડળના અધિકારીઓ તથા દમણ નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા તિરંગો હાથમાં લઈને ‘રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ’ ધૂન ગાતા ગાતા દમણના શહેરી વિસ્તારોમાં ફરીને જન જાગૃતિ અભિયાન ચલાવાયું હતું.