વારંવાર ગામ વિસ્તારમાં દિપડા જણાતા ભયનો માહોલ : સોમવારે રાત્રે દિપડાએ વાછરડીનું મારણ કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: પારડીના ડુમલાવ ગામમાં છેલ્લા 10-15 દિવસથી રાત્રી દરમિયાન દિપડા આંટાફેરા મારી રહ્યા છે અને પશુના મારણ કરી રહ્યા છે તેથી ગામમાં ચોમેર દહેશતનો માહોલ છવાયેલો રહ્યો છે. હજુ ગયા સપ્તાહે આઠ દિવસ પહેલાં ગામમાંથી એક દિપડો પાંજરે પુરાયો હતો. ત્યાં સોમવારે રાત્રે વધુ એક દિપડો પાંજરે પુરાયો છે.
ડુમલાવના ઝાપર ફલીયાના બાબુભાઈ સોમાભાઈ પટેલની વાછરડીનું કાલે રાત્રે મારણ પણ કર્યું પરંતુ જંગલ વિભાગે ગોઠવેલા પાંજરામાં દિપડો જતા જતા સપડાઈ ગયો હતો. આજે વનવિભાગે ખુંખાર દિપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી કરી હતી. હજુ પણ સરપંચ સહિત ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમને ત્રણથી ચાર દિપડા હરતા ફરતા નજરાઈ રહ્યા છે તેથી લોકો ખેતરે-વાડીએ જતા પણ ડરી રહ્યા છે.
—-