ગત એજીએમમાં ગાજતે-વાજતે હોસ્પિટલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તની કરેલી જાહેરાત બાદ થઈ રહેલા ઈરાદાપૂર્વકના બિનજરૂરી વિલંબથી ઉદ્યોગિક આલમમાં ફેલાયેલી નારાજગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે આજરોજ પત્રકાર સંગઠને હોસ્પિટલ પ્રોજેક્ટના સંદર્ભમાં એક વિનંતીપત્ર પાઠવી પ્રોજેક્ટના વિલંબના કારણોની સ્પષ્ટીકરણની માંગણી કરી હતી. ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 1500 થી વધુ એકમોમાં એક લાખથી વધુ કામદારો કામ કરી રહ્યા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આઉપરાંત આજુબાજુના ગામડાઓમાં માનવ વસ્તીની ગીચતા જોતા એક હોસ્પિટલની જરૂરિયાત છે. ઉમરગામ જીઆઈડીસીમાં હોસ્પિટલ કાર્યરત કરવા માટે છેલ્લા 15 વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં જીઆઈડીસીએ હોસ્પિટલ પ્રોજેક્ટ માટે પ્લોટ પણ એલોટમેન્ટ કરેલો છે. આ ઉપરાંત હાલમાં 52 હેક્ટર ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હોસ્પિટલ માટે એક પ્લોટની માંગણી કરેલી અને જેમાં હોસ્પિટલ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં નિર્માણ કરવામાં આવશે એવી ગત વાર્ષિક સધારણ સભામાં યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી અને એમની ટીમ દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી. તેમજ ખાતમુહૂર્તની તારીખ પણ નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારિત તારીખ વીતી જવા પામી છે અને હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાના કોઈ એંધાણ દેખાતા નથી જેથી આ મુદ્દે ઔદ્યોગિક આલમમાં ખાસ ચર્ચાનો વિષય બનેલો છે. આ ઘટનાનો ફોડ પાડવા યુઆઈએ ના અગ્રણીઓએ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. અગાઉ પણ જીઆઈડીસીએ હોસ્પિટલ પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન પર હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થઈ શકયો નથી. અને નજીકના વિસ્તારમાં આઈ હોસ્પિટલ માટે દેહરી પંચાયતે સોનાની લંગડી સમાન જમીન એક ટ્રસ્ટ ને આપવામાં આવેલી હતી જે સુષુપ્ત અવસ્થામાં છે ત્યારે હવે હાલમાં 52 હેક્ટરવિસ્તારમાં ફાળવેલ પ્લોટ ઉપર કામગીરી શરૂ થશે કે કેમ અને કયારે થશે એ મુદ્દે ચર્ચા તે જ બની છે.