- દાનહ ખાનવેલ પંચાયત પરિસરમાં પ્રધાનમંત્રીની ‘મન કી બાત’નું નિહાળેલું સીધું પ્રસારણ
- દાનહના ઊંડાણના આદિવાસી વિસ્તારના એક યુવાન દ્વારા સ્ટાર્ટઅપ અને વોકલ ફોર લોકલ દ્વારા એલઈડી બલ્બનું શરૂ કરાયેલું ઉત્પાદન
- વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ અંતર્ગત દાનહને નાગલીના ઉત્પાદનમાં પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જરૂરી : નાગલીના અનેક પરંપરાગત વ્યંજનો બનાવતા પ્રદેશના આદિવાસીઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈમોદીએ 85મી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ છે સાથે એમણે જણાવ્યું હતું કે, ભારતના ભવિષ્યને લઈ યુવાઓના સપનાનો ઉલ્લેખ કર્યો સાથે એ પણ અપીલ કરી હતી કે ભ્રષ્ટાચારની ભોરીંગથી મુક્ત થાય.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમના પ્રસારણને જીવંત નિહાળવા અને સાંભળવા માટે દાનહ ખાનવેલ પંચાયતની બાજુમાં એક સમિયાણો બનાવી ત્યાં આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોએ પીએમ મોદીના સપનાને સાકાર કરવા શપથ લીધા હતા.
આ અવસરે ભાજપાના પદાધિકારી, કાર્યકરો, ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ સહિત પ્રદેશના ખેડૂતો મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ કોરોના મહામારીથી લઈ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક, લોકલ ફોર વોકલ, સ્વરોજગાર સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર ભાર મુકયો હતો.
કાર્યક્રમ દરમ્યાન ખાનવેલ નિવાસી શ્રી સંજય રાઉતે ખાનવેલ અને સંપૂર્ણ પ્રદેશને જલ્દીથી જલ્દી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
શ્રી મહેશભાઈ ગાંવિતે લોકલ ફોર વોકલ વિષયપર જણાવ્યું હતું કે, પ્રદેશના કેટલાક આદિવાસી ભાઈઓ બામ્બુની કેટલીક વસ્તુઓનું ઉત્પાદન કરી એનું વેચાણ પણ કરે છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની ‘મન કી બાત’ સાંભળી પ્રદેશના દૂધની નિવાસી એક યુવાને એલઇડી બલ્બ બનાવવાનું કામ શરુ કર્યું છે જેના પ્રયાસને આજે પ્રદેશ જ નહિ પરંતુ દેશભરમાં સરાહના થઈ રહી છે. એનાથી રોજગારના અવસર સાથે પ્રદેશનું નામ પણ એમણે રોશન કર્યું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પહાડી જમીન વધારે છે જ્યાં વધુમા વધુ નાગલીની ખેતી થાય છે જેને જો પ્રશાસન દ્વારા સહયોગ આપવામા આવે તો આ નાગલીમાંથી બનાવવામાં આવતી વિવિધ ચીજોનું દેશભરમાં વેચાણ કરી શકીએ એનાથી સ્થાનિક ખેડૂતો સહિત બેરોજગાર માટે પણ રોજગારનો અવસર પ્રાપ્ત થઈ શકે.
પ્રદેશની વારલી પેઇન્ટિંગ પણ ઘણી પ્રખ્યાત છે જેને લઈ પ્રદેશનું નામ ઘણુ આગળ રહ્યુ છે અને અહીંની પેઇન્ટિંગ દેશ-વિદેશ સુધી પહોંચી છે. જેનાથી અહીંના કલાકારોએ પ્રદેશનું નામ રોશન કર્યું છે. પ્રદેશની મુલાકાતે આવતા ભારતના રાષ્ટ્રપતિથી લઈ તમામ મંત્રીઓ અને નેતાઓને અહીંની વારલી પેઈન્ટિંગને સ્મળતિભેટના સ્વરૂપે આપવાની પણ પરંપરા રહી છે.
આ સમગ્ર કાર્યક્રમનુંઆયોજન પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને ઉપસ્થિતિ વચ્ચે કરાયું હતું. કાર્યક્રમમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, સેક્રેટરી શ્રી મનિષભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી મારિયાભાઈ, શ્રી સંજયભાઈ રાઉત સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ખેડૂતો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.