સરીગામના અગ્રણી અને જબાનના ધણી મનીષ રાયે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરની 60000 થી વધુ મતોથી જીત થવાની આગાહી કરી હતી અને ભવ્ય સત્કાર સમારંભ યોજવાનું વચન આપ્યું હતું જે આગાહી સાચી સાબિત થતા ગતરોજ ભવ્ય સત્કાર સમારંભ યોજી વચન પૂર્ણ કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: સરીગામ કેડીબી હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં ઉમરગામ તાલુકાના વિજેતા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર 64,786 મતોની જંગી સરસાઈથી જીત હાંસલ કરતા એમના માનમાં ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમ તેમજ સરીગામના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાન શ્રી મનીષભાઈ રાય (બાલાભાઈ) અને એમના પરિવાર આ ઉપરાંત સરીગામના અગ્રણી કાર્યકર્તાઓના સંયુક્ત સહયોગથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ જનમેદની ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને શુભેચ્છા આપવા ઉમટી પડી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકારે ભાજપાના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને તમામ કાર્યકર્તાઓનો ભવ્ય વિજય હાંસલ કરાવવામાં આપેલા યોગદાનની ભારે પ્રશંસા કરીહતી. આ ઉપરાંત સરીગામના અગ્રણી શ્રી મનીષભાઈ રાયે ચૂંટણી પ્રચાર દરમિયાન બનાવેલી પ્રચારની રણનીતિ અને તન, મન અને ધનથી આપેલા સહયોગને દિલથી યાદ કરી ઉપસ્થિત વિશાળ જનમેદની સમક્ષ ભારે પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરે નજીકના ભવિષ્યમાં થનારા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી હતી.
આ અગાઉ ઉમરગામ તાલુકાની તમામ સ્થાનિક જાતિ તેમજ રાજસ્થાની સમાજ સહિત ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને પુષ્પગુચ્છ આપી અને હાર પહેરાવી અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટેભાગની પંચાયતના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યોની પણ હાજરી જોવા મળી હતી.
કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંગઠનના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા સાથે કાર્યકર્તાઓએ કરેલી મહેનતની ભારે પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ચૂંટણીના પ્રચાર દોરમાં પક્ષમાં રહી પક્ષ સાથે કાકરી ચાળો કરનારને શાબ્દિક ટોણો મારતા જણાવ્યું હતું કે, ‘‘ગાડલી નીચે કૂતરો ચાલે અને એવું સમજે કે ગાડલી એ જ ખેંચતો છે પરંતુ એવું નથી ગાડલીનો ભાર તો બળદને જ ખબર પડે” એવા શબ્દો નારાજગી સાથે જાહેર મંચ પરથી રજૂ કર્યા હતા. આજનાકાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ અને ચૂંટણીના પ્રચારદોરમાં ચૂંટણી કન્વીનર તરીકેની મહત્વ અને સફળ કામગીરી બજાવનાર શ્રી મુકેશભાઈ પટેલે પણ કાર્યકર્તાઓની અને એમની ટીમનો આભાર વ્યક્ત કરી પ્રશંસા કરી હતી. આજના કાર્યક્રમનું સફળ સંચાલન અને એન્કરિંગની મહત્વની ભૂમિકા સરીગામના અગ્રણી અને કાર્યક્રમના સહ આયોજક શ્રી મનીષભાઈ રાય દ્વારા બજાવવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કિર્તીભાઈ રાય, શ્રી પ્રતિકભાઈ રાય અને એમની સંપૂર્ણ ટીમ સહિત બંસ નારાયણ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.