ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ નવા ટ્રસ્ટીગણની રચના કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05 : મહાત્મા ગાંધીજીના હસ્તે અમદાવાદમાં સ્થપાયેલ ગાંધીવાદી શૈક્ષણિકસંસ્થાન ગુજરાત વિદ્યાપીઠમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂંક માટે હાલમાં જ મીટિંગ મળી હતી. તેમાં નિવૃત્ત થયેલ ચાર ટ્રસ્ટીઓને સ્થાને નવા ટ્રસ્ટીની વિચાર વિમર્શ બાદ નિમણૂંક કરાઈ હતી. જેમાં વાપીના ગાંધીવાદી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યાપીઠના નવા ચાર ટ્રસ્ટીઓની વરણી માટે મીટિંગ યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂંક થયેલા મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષતામાં મળેલ મીટિંગમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂંક અંગે વિચાર વિમર્શ બાદ સર્વાનુમતે નિમણૂંક કરાઈ હતી. હવેથી ટ્રસ્ટીમંડળમાં ગફુરભાઈ બિલખીયા પદ્મશ્રી, રાજશ્રી બિરલા પદ્મવિભૂષણ, દિલીપ ઠાકર અને હર્ષદ પટેલનો નવા ટ્રસ્ટી તરીકેની વરણી જાહેર કરાઈ હતી. હજુ પણ ટ્રસ્ટીગણની કેટલીક સીટ ખાલી છે જે આગામી સમયે નવા નામ ટ્રસ્ટીઓના ઉમેરાઈ શકે એમ છે. ગફુરચાચાના હુલામણા નામથી વાપી સહિત વલસાડ જિલ્લામાં મશહૂર રહ્યા છે. સમાજ સેવા અને ગાંધીવાદી પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા આવ્યા છે.