મામલતદાર સહિત ઉચ્ચ સ્તરે અધિકારીઓને રજૂઆત કરી તપાસ માંગ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ગણદેવી તાલુકાને અડીને આવેલા ચીખલી તાલુકાના ઘેકટી ગામની સીમમાંથી પસાર થતું સ્થાનિક કોતરકે જે કાવેરી નદીને મળે છે. આ સ્થાનિક કોતરમાં છેલ્લા ઘણા સમયથી આંતલિયાના જીઆઇડીસી વિસ્તારમાંથી કેમિકલ વાળું જણાતું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ખુલ્લામાં વહેવા સાથે કાવેરી નદીમાં ભળતું હોય એ પાણીથી જમીનની ફળદ્રુપતા ઘટવા સાથે આસપાસની ખેતીવાડીને પણ નુકશાન થઈ રહ્યું છે. બીજી તરફ આ શંકાસ્પદ કેમિકલવાળું પાણીથી કાવેરી નદીમાં જળચર જીવ સૃષ્ટિ સામે પણ ખતરો ઉભા થવા સાથે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે.
વધુમાં આ પાણી જ્યાં કાવેરી નદીમાં ભળે છે. ત્યાંથી માંડ 200-300 મીટરના અંતરે આંતલિયામાં કાવેરી નદીના કિનારે બોરવેલ મારફતે ઘેકટી ગામમાં પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠાની યોજના કાર્યરત છે. તેવામાં આવનાર સમયમાં માનવજાત અને પશુઓના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થવાની શક્યતા છે.
ઉપરોક્ત સમગ્ર હકીકત અંગે સ્થાનિક અગ્રણી વંકાલ વજીફા ફળીયાના દીપકભાઈ સોલંકી દ્વારા મામલતદારને મળી રજૂઆત કરી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક કક્ષાએ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું પરંતુ સમગ્ર બાબતને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા ઘેકટીમાં આ પાણીના નમૂના લઈ તેનું પરીક્ષણ કરાવી આ પ્રકારે ખુલ્લામાંપાણી છોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે સેટિંગ ડોટ કોમના કારભારમાં તપાસ પણ થશે કે કેમ ? અને થશે તો તટસ્થ રીતે કરાશે કે પછી ગોળ ગોળ કરી પિંડલું વાળવામાં આવશે તે જોવું રહ્યું જોકે સ્થાનિક કક્ષાએથી કાર્યવાહી ન થાય તેવામાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતની પણ આગેવાનો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
જીપીસીબીના હરેશભાઈ ગામીતના જણાવ્યાનુસાર ઘેકટીમાં જીઆઈડીસી વિસ્તારમાંથી ઘરગથ્થુ પાણી છોડાતું હશે. કેમિકલ વાળું પાણી આ રીતે જાહેરમાં છોડવાની કોઈને છૂટ આપવામાં આવી નથી. તેમ છતાં સ્થળ પર તપાસ કરવામાં આવશે.
—-