દીવ ખાતે જી-20ની બેઠક પહેલાં તમામ હોટલો, વેપારી પ્રતિષ્ઠાનો તથા સરકારી કાર્યાલયોનું ફાયર ઓડિટ કરાવવું ઈચ્છનીય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દીવની પસંદગી જી-20ની બેઠક માટે થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું ગૌરવ પણ વધવા પામ્યું છે. વિશ્વના 20 દેશોના મુખ્ય પ્રતિનિધિઓ દીવ ખાતે આવવાના હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક નવી ઓળખ ઉભી થશે. તેથી સંઘપ્રદેશ પ્રશાસનની સાથે સાથે દીવના લોકો અને દીવના વેપારી, હોટલ સંગઠનોની જવાબદારી પણ વધવા પામી છે.
તાજેતરમાં દીવના નાયડા ખાતે તાડના વૃક્ષોમાં અને દીવના ચક્રતીર્થ બીચની સામે આવેલ ખુલ્લી જગ્યામાં લાગેલી આગની ઘટનાએ અગમચેતીના પગલાં માટે પણ સિગ્નલ આપ્યું છે.
દીવના નાગવા બીચનું અનેરૂ આકર્ષણ છે. આ વિસ્તારમાં ઘણી હોટલો પણ આવેલી છે. તેથી એક ફાયર બ્રિગેડનું વાહન નાગવા ખાતે રહે તે ઈચ્છનીય છે. કારણ કે, આગ જેવી ઘટનાના સમયે દીવથી નાગવા સુધી ફાયર બ્રિગેડના વાહનોને પહોંચતા ખાસ્સો સમય નિકળી જતો હોય છે. તેથી નાગવા ખાતે એક ફાયર બ્રિગેડની આઉટ પોસ્ટ બનાવવી જરૂરી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.
અત્રે નોંધનીય છેકે, જી-20નું પ્રતિનિધિ મંડળ મે-2023ના પ્રથમ સપ્તાહમાં દીવ આવવાનું છે ત્યારે દીવ જિલ્લાની તમામ હોટલો, સરકારી કાર્યાલયો, વેપારી પ્રતિષ્ઠાનો વગેરેનું ફાયર ઓડિટ કરાવવું આવશ્યક હોવાનું દેખાય છે. ફાયર ઓડિટ થવાથી જો કોઈ ક્ષતિ હશે તો તેને દૂર કરવા આગોતરી મદદ મળશે.