વારલી સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા સમાજના આગેવાનોએ કરેલું મંથનઃ..તો દાનહનો વારલી સમાજ રાજકીય નેતૃત્વ માટે પણ સજ્જ બનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06 : દાદરા નગર હવેલીના વારલી સમાજે લગ્ન સહિત વિવિધ પ્રસંગે સાર્વજનિક રૂપે પિરસાતા દારૂ-તાડી, બિયર, કોટર તથા ચિકન મટનની પ્રથાને બંધ કરવાનો આવકારદાયક નિર્ણય લીધો છે. વારલી સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયનું જો મોટા પ્રમાણમાં પાલન કરવામાં આવશે તો આવતા દિવસોમાં સમાજ પ્રગતિના અનેક સોપાનો સર કરશે એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી વારલી સમાજના સંગઠન તથા કમીટિઓ દ્વારા સમાજમાં ચાલતી બદી અને કુરિવાજોને બંધ કરવાનો નિર્ણય સર્વની સહમતિથી લેવામાં આવ્યો હતો. વારલી સમાજમાં પણ હવે શિક્ષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને ઘણાં સમાજના આગેવાનો સરકારમાં પણ ઊંચા પદ ઉપર બિરાજી રહ્યા છે. તેમજ રાજકીય દૃષ્ટિએ પણ વારલી સમાજ દાદરા નગર હવેલીમાં જાગૃત બન્યો છે ત્યારે તેમણે લીધેલા નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
સમાજ દ્વારા નક્કી કરાયું છે કે, હવેથી લગ્નમાં મંડપના દિવસે ફક્ત ઠંડું(કોલ્ડ ડ્રીંક્સ) જ પિરસવામાં આવશે. વારલી સમાજના લોકોના જીવન-ધોરણને ઊંચું લાવવા તથા પ્રગતિ માટે દરેક ગામના તમામ નાગરિકોએ સભાનતાથી પોતાની જવાબદારીનિભાવવા અને ઉધારીમાંથી મુક્ત થવાનો પણ મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોએ શિક્ષણ ઉપર ખુબ ભાર આપી વારલી સમાજના દરેક ઘરે શિક્ષિત પેઢી તૈયાર થાય એ પ્રકારના આયોજનને પણ અંજામ આપવા હાકલ કરાઈ હતી.