-
છેલ્લા પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ પર્યટકોએ વાસોણા લાયન સફારીની લીધેલી મુલાકાતઃ અશોક અને મીરા-સિંહ-સિંહણની જોડીએ પહેલાં દિવસે જ જમાવેલું આકર્ષણ
-
વન સચિવ, મુખ્ય વન સંરક્ષક સહિતના અધિકારીઓએ કરેલું વૃક્ષારોપણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06 : આજથી વિધિવત્ રીતે વાસોણા લાયન સફારી ખાતે સિંહદર્શનના કાર્યક્રમનો આરંભ થયો હતો. છેલ્લાં ઘણાં મહિનાઓથી સિંહ નહીં હોવાના કારણે વાસોણા લાયન સફારી હાંસિયા ઉપર ચાલી ગયું હતું. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી પ્રદેશના વન વિભાગ દ્વારા વડોદરાના સક્કરબાગ અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી અનુક્રમે અશોક નામનો સિંહ અને મીરા નામની સિંહણને વાસોણા લાયન સફારી ખાતે લાવવા સફળતા મળી હતી.
આજે વાસોણા લાયન સફારીને પુનઃ શરૂ કરતા પહેલાં પ્રદેશના વન સચિવ શ્રી રવિ ધવન, મુખ્ય વન સંરક્ષક શ્રી એમ. રાજકુમાર, વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલ, ઉપ વન સંરક્ષક શ્રી થોમસ વર્ગિસ, ઉપ વન સંરક્ષક શ્રી રાજતિલક તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં વાસોણા લાયન સફારીના કેમ્પસ ખાતે પીપળો, ઉમરોઅને વડના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
20 હેક્ટરના વિસ્તારમાં પથરાયેલા વાસોણા લાયન સફારીની છેલ્લા પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. હવે ફરી સિંહ અને સિંહણની જોડી આવી જતાં વાસોણા લાયન સફારીનો વૈભવ પણ વધવા પામ્યો છે. વાસોણા લાયન સફારીની મુલાકાત સુરક્ષિત વાહનમાં કરવામાં આવે છે. જેથી સિંહોને જંગલના કુદરતી વાતાવરણમાં ફરતા નજીકથી નિહાળી શકાય છે. આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા બંને સિંહ અને સિંહણ – અશોક અને મીરાની જોડીને પાંજરામાંથી બહાર કાઢી લાયન સફારીમાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગ અને પશુઓના મહત્વ અંગે જાણકારી આપી હતી.
આ અવસરે સહાયક વન સંરક્ષક શ્રી વિજયભાઈ પટેલ, પશુ ચિકિત્સક ડો. વિજયસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, વનવિભાગના કર્મીઓ તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.