12 વાગ્યા પછી ગરબા બંધનું પોલીસનું ફરમાન હતું તે હવે હટી જશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: રવિવારથી વાપી સહિત તમામ વિસ્તારોમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. પરંતુ રાત્રે 12 વાગે ગરબા બંધ કરવાનું પોલીસે આપેલ ફરમાનતી ખેલૈયાઓને ખુંચતું હતું. પરંતુ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોએ ગૃહમંત્રીની જાહેરાતને આવકારી હતી.
નવરાત્રીના પ્રારંભથી ગરબા ગાવાની લાઉડ સ્પિકરની રાત્રે 12 વાગ્યાની લિમિટ સરકારે અને પોલીસે જાહેર કરી હતી. તેથી ખેલૈયા આવાત-નિયમ ઓછો જચતો હતો. પરંતુ આજે રાજ્યના ગૃહમંત્રીએ રાત્રે 12 વાગ્યા પછી પણ ગુજરાતભરમાં ગરબા ચાલુ રાખી શકાશે તેવું ફરમાન જાહેર કર્યું હતું. તેનો પ્રતિભાવ વાપીમાં આનંદના માહોલ અને આવકારમાં પરિણમ્યો હતો. વાપી ભાઠેલા પ્લોટ ઉપર આયોજીત રમઝટ ગરબા મહોત્સવના આયોજક સમીર પટેલ સહિત વાપીના અન્ય ગરબા આયોજકોએ ગૃહમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. વાપીના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.