(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: સરીગામ પંચાયત કચેરીના સંયોજક સદન ભવન ખાતે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવેના અધ્યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોને ડામવા માટે ચાલુ કરેલા અભિયાન અને નજીકના ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ચાઈનીઝ દોરા અને તુક્કલ જેવી આઈટમના વેચાણ અને વપરાશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી માહિતગાર કરવાના મુદ્દે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુંછે. એવી માહિતી લોક દરબારના પ્રારંભમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવે ઉપસ્થિત આગેવાનોને આપી હતી. સરીગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વ્યાજખોરો અને પઠાણી ઉઘરાણીની સમસ્યા જગ જાહેર છે છતાં પણ આજના લોક દરબારમાં જનતાના પ્રતિનિધિઓ રજૂઆત કરવામાં નિષ્ફળ ગયા હતા. વગર રજૂઆતે પૂર્ણ થયેલા લોક દરબારમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે અનુમાન લગાવતા જણાવ્યું હતું કે ફરિયાદી સામે આવતા ડરી રહ્યો છે. જો એવું હોય તો એમના મોબાઈલ નંબર ઉપર ફરિયાદ કરવા જણાવ્યું હતું અને એમને પોતાનો નંબર તેમજ પીએસઆઈ અને પોલીસ મથકનો નંબર જાહેર કર્યો હતો. આ સાથે ફરિયાદીની રજૂઆતને પ્રાધાન્ય આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફરિયાદીને રક્ષણ પણ આપવામાં આવશે એવું જણાવ્યું હતું.