(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
ઉમરગામ તાલુકાના મોહનગામ, ઝંબોરી, એકલારા સહિતના કેટલા ગામડાઓમાંથી પસાર થતી દમણગંગા નદીના પાણી અત્યંત કેમિકલયુક્ત લાગતા સ્થાનિક પ્રજામાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તાજેતરમાં સચીન જીઆઇડીસીની ખાડીમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવેલો મુંબઈની હાઈકેલ કંપનીનો સોડિયમ હાઈડ્રો સલ્ફાઇટ કેમિકલ વેસ્ટ અને ત્યારબાદ બનવા પામેલી ગોઝારી ઘટનામાં છ વ્યક્તિના મોત અને 20 જેટલા ઘાયલ થયા હતા જેની તપાસ હજુ ચાલુ છે.
વાપી, સરીગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ છોડવાની અનેકવાર ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. જેથી નદી- નાળાઓમાં છોડાતા કેમિકલ વેસ્ટની ઘટના ઉપર અંકુશ મૂકવો જરૂરી બની ગયો છે. હાલમાં દમણગંગાનદીનું પાણી અત્યંત કેમિકલયુક્ત જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેતીના વપરાશમાં તેમજ પશુ-પંખીઓને પીવા માટે જોખમકારક બની ગયું છે. આ અગાઉ સ્થાનિકો દમણગંગા નદીના પાણીનો ઉપયોગ ખેતીવાડી અને અન્ય કામમાં કરતા હતા, પરંતુ કેટલાક દિવસથી નદીમાં કોઈ કંપની દ્વારા કે ટેન્કરો મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવવાની પ્રબળ શક્યતા જણાઈ રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
આ ઘટનામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ કમિટી દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી કસૂરવારો સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠી છે.