સસ્પેન્ડેડ લેન્ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારી પોલીસ પહોંચથી બહાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 19: સેલવાસના સસ્પેન્ડેડ મામલતદાર ટી.એસ.શર્માની આજે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને નીતિ-નિયમો વિરૂદ્ધ કરેલા કામોની તપાસ માટે સેલવાસ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સાંપડી છે. ટી.એસ.શર્મા સામે પોતાની જ્ઞાત આવક કરતા વધુ સંપત્તિના મુદ્દે પણ સઘન તપાસ થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે.
ખાનવેલના પૂર્વ મામલતદાર અને લેન્ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી હાલમાં પોલીસ અટકથી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વહીવટમાં ભ્રષ્ટાચાર સામે અપનાવેલી ‘નો ટોલરન્સ’ નીતિના કારણે સેલવાસના તત્કાલિન મામલતદાર ટી.એસ.શર્માએ ખાસ લોકોને લાભ અપાવવા માટે સરકારી જમીનો સાથે ચેડાં કર્યા હતા અને ખોટા સરકારી દસ્તાવેજો પણ ઉભા કરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. લેન્ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારીની પણ મિલીભગત હોવાનું સમજાય છે.
સેલવાસપોલીસે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સસ્પેન્ડેડ મામલતદાર ટી.એસ.શર્માની ધરપકડની પુષ્ટિ કરી નથી. પરંતુ તેને પૂછપરછ માટે બોલાવાયા હોવાનું ગાણું ગવાઈ રહ્યું હતું.