(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના સેલવાસ-ખાનવેલ રોડ પર રખોલી દમણગંગા નદીના પુલ નજીક એક યુવાન નદીના વચ્ચે પથ્થર પર લઘુશંકા કરવા ગયેલત્યારબાદ અચાનક નદીમાં પાણીનું પ્રવાહ વધવાને કારણે તે અંદર જ ફસાઈ ગયો હતો જેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર બલરામ યાદવ (ઉ.વ.49) રહેવાસી રખોલી અને જીએસકે કંપની સાયલીમાં નોકરી કરે છે, જે સવારે કુદરતી હાજતે નદીના વચ્ચેના ભાગે એક પથ્થર પર બેસી ગયો હતો જે સમયે એ અંદર ગયો હતો તે સમયે પાણીનો પ્રવાહ ઓછો હતો. પરંતુ જેવો એ અંદર ગયો તે વખતે અચાનક જ મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીમાં પ્રવાહ વધી ગયો હતો જેના કારણે તે નદીમાં વચ્ચે જ ફસાઈ ગયો હતો. જેના પર સ્થાનિકોની નજર પડતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને ફોન કર્યો હતો. તેઓ પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને એમણે પહેલા મધુબન ડેમના અધિકારીઓને ડેમમાંથી પાણી બંધ કરવા માટે જાણ કરી હતી, ત્યારબાદ નદીમાં થોડું પાણી ઓછું થયા બાદ ફાયર વિભાગની ટીમે અંદર ફસાયેલ યુવાનને બહાર કાઢવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે દોરડાની સહાયતાથી યુવાનને બહાર કાઢયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ સિઝનમાં એક યુવાન ફસાયો હતો જેને પણ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક દાનહ પ્રશાસનના કર્મચારીઓ દ્વારા નદી નજીકની ચાલીઓમાંરહેતા અને નદી કિનારે કપડાં ધોવા જતા લોકો પર પ્રતિબંધ લગાવવા આજુબાજુના ઉદ્યોગ ચાલ માલિકોને સખ્તાઈથી નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નદીમાં માછલી પકડવા જનાર કે અન્ય કોઈપણ પ્રક્રિયા માટે જનાર લોકો કે ચાલ માલિક અથવા સામાન્ય નાગરિકને જવાબદાર ઠરાવવામાં આવશે અને આપદા પ્રબંધન અધિનિયમ 2005ની ધારાઓ મુજબ કાર્યવાહી કરવામા આવશે.
જિલ્લા પ્રશાસન અનુરોધ કરે છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ કારણસર દમણગંગા નદી અને મધુબન ડેમ નજીક જાય નહીં એની સાથે જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતર્ક રહે અને નીચાણવાળા વિસ્તારો અને દમણગંગા નદીના કિનારાથી દૂર રહે અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરે.