(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના સામરવરણી ગામે રહેતા યુવાન ઘરે જમ્યા બાદ અચાનક પેટમાં દુખાવો થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમ્યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સુનિલ વાલ્મિકી (ઉ.વ.18) રહેવાસી સામરવરણી જે સેલવાસ ભસતા ફળિયામાં નવનિર્મિત સોસાયટીમાં સફાઈનું કામ કરતો હતો જે પોતાનું કામ પતાવી પોતાના ઘરે જઈ જમવા બેઠો હતો જમ્યા બાદ થોડો સમય બાદ અચાનક પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. જે જોતા એના પરિવાર દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે ચેક કર્યા બાદ સીધો આઈસીયુમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો અને જણાવેલ કે એના શરીરમાં લોહીની કમી છે જેથી તમારે બ્લડ બેન્ક પરથી બે બોટલ લોહી લાવવું પડશે. પરિવારના સભ્યો બ્લડ બેંક પરથી બે બોટલ બ્લડ લાવ્યા બાદ ડોકટરે દર્દીને લોહી ચડાવ્યું હતું. પરંતુ તબિયતમા કોઈ જ સુધારો જોવા મળ્યો ના હતો ડોક્ટર પણ દર્દીના સગાને દર્દીને મળવા પણ ના દેતા હતા. સુનીલની માતા જબરદસ્તી આઈસીયુમાં ઘુસી જઈ જોતા એમના દિકરાનું શરીર એકદમ ઠંડુ થઈ ગયેલ હોવાનું જોવા મળ્યું હતું. બાદમાં ડોક્ટરને પુછતા જણાવ્યુ કે દર્દીઆરામમા છે જેથી આપને એવું લાગે છે. સુનિલની માતાએ એના પરિવારની આખી ઘટના જણાવતા તેઓ પણ ડોક્ટર પાસે પહોંચ્યા હતા અને સુનીલને જોવાની જીદ કરી હતી. બાદમાં જોતા ડોકટરે સુનીલને મૃત ઘોષિત કર્યો હતો જેથી પરિવારના સભ્યોએ હોસ્પિટલની અંદર જ હોબાળો મચાવવાનો શરુ કર્યો હતો અને ડોક્ટર પર સીધા આક્ષેપ કર્યા હતા કે આપની બેદરકારીના કારણે જ અમારા પુત્રનું મોત થયું છે. સુનીલને ફક્ત પેટમાં દુઃખાવો હતો તે સિવાય બીજી કોઈપણ બીમારી ના હતી તો પછી લોહી ચડાવવાની કેમ જરૂર પડી હતી અને અમારો પુત્રની તબિયત વધુ બગડી હતી તો અમને કેમ જાણ કરવામાં આવી ના હતી. હાલમાં યુવાનની લાશને પીએમ રૂમમાં રાખવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું ક્યા કારણસર મોત થયું છે એ જાણી શકાશે. હાલમાં તો સુનીલના પરિવારના સભ્યોએ ડોક્ટરની જ બેદરકારીનો સીધો આક્ષેપ કર્યો છે.