-
તા.11મી ફેબ્રુઆરીએ પાંચ વર્ષ પછી દમણની ધરતી ઉપર થનારૂં આગમનઃ પ્રદેશમાં આનંદ અને ઉલ્લાસ
-
‘કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’: સંઘપ્રદેશના પ્રફુલભાઈ પટેલે સાચી ઠેરવેલી ઉક્તિ
આજથી પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર રાષ્ટ્ર સંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબનું દમણની ધરતી ઉપર આગમન થયું હતું. પાંચ વર્ષ બાદ ફરી એકવાર દમણની ધરતી ઉપર તા.11મી ફેબ્રુઆરીના રોજ દમણ ખાતે મહારાજશ્રીના પુનિત પગલાં પડવાના છે.
પાંચ વર્ષ પહેલાં તા.19મી માર્ચ, 2018ના રોજ મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે આયોજીત સમારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે, ‘મહારાજ સાહેબના આગમનથી દમણની દશા અને દિશા બદલતા કોઈ રોકી નહીં શકશે અને મહારાજ સાહેબના આશીર્વાદથી દમણ-દીવ અને દાદરા નગર હવેલી માટે આવતા વર્ષે મેડિકલ કોલેજનો પ્રારંભ થઈ જશે અને અગામી બે-પાંચ વર્ષમાં દમણમાં નવો સૂર્યોદય થશે.’
આજે આ વાત સોટકા સાચી સાબિત થઈ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વયં નિખાલસ કબૂલાત પણ કરી હતી કે, મહારાજ સાહેબના સાંનિધ્યથી નવી ઊર્જા અને નવી શક્તિ મળે છે અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કામ કરવાનું સામર્થ્ય પણ ગુરૂ ભક્તિના કારણે મળ્યું હોવાનો એકરાર પણ કર્યો હતો.
આજે 2016 ઓગસ્ટના દમણ-દીવ કે દાદરા નગર હવેલીની સરખામણી કરવામાં આવે ત્યારે આજે અનેક ક્ષેત્રે પરિવર્તન દેખાય છે. આ પરિવર્તન લાવવા પહેલાં અનેક ઝંઝાવાત અને તોફાનોનો સામનો સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલને કરવો પડયો છે. પરંતુ જે રીતે ‘કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ તે રીતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતે નક્કી કરેલી દિશામાં પ્રશાસનને હિંમતપૂર્વક હંકારતા રહ્યા જેના ફળસ્વરૂપ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિની સાથે સુશાસનનો પણ વિકાસ સંભવ બન્યો છે. જેની અસર પણ હવે દેખાવાની શરૂ થઈ છે.
સોમવારનું સત્ય
રાષ્ટ્રસંત પુણ્યવંત મહાપુરૂષ જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા ગણિપ્રવર શ્રી પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્યોની પાવન પધરામણી અવસરે વધાવવા સમસ્ત દમણ થનગની રહ્યું છે.