ઊંચા વ્યાજે નાણા ધિરતા તત્ત્વો દ્વારા પ્રજાનું શોષણ રોકવા તા.9ના રોજ જિલ્લા સ્તરે લોન મેળા યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07 : છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરી કરતા અસામાજીક તત્ત્વોને ઝેર કરવા માટે પોલીસ દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે તે માટે ઠેર ઠેર જાહેર જનસભાઓ બાદ સમાજલક્ષી અભિગમનો નવતર પ્રયોગ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી તા.09ને ગુરૂવારના રોજ જિલ્લા સ્તરે બેન્કોના સહયોગ સાથે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા વ્યાજખોરી અટકાવાની ઝુંબેશ અન્વયે યોજાનાર લોન મેળામાં જરૂરીયાતમંદોને બેંક દ્વારા ધિરાણ લોન અપાવવાનું સંકલન કરવામાં આવશે જેથી નાની નાની રકમના દશ-વીસ ટકા લેતા પઠાણી વ્યાજખોરોનીચુંગાલમાંથી છૂટકારો મળે તેવો હેતુ અને આશય પોલીસનો આ લોન મેળા થકી રહેશે. આ માટે અરજદાર પાસે બેંક એકાઉન્ટ ના હોય તો પણ સ્થળ ઉપર ખાતું ખોલી આપવામાં આવશે. આ માટે આધાર કાર્ડ અને એડ્રેસ પ્રુફ સાથે રાખવું પડશે, તેમજ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ફોર્મની વિગત ઝેરોક્ષ સ્થળ ઉપર આપવામાં આવશે.