જિલ્લા વિકાસ અધિકારીએ આ પગલાં ભરવા પહેલાં આ પ્રકરણમાં આરોપનો સામનો કરી રહેલા તાત્કાલિન તલાટી સુધીર પટેલને એક અઠવાડિયા અગાઉ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: ઉમરગામ તાલુકામાં સોળસુંબા માર્કેટ પ્રકરણ ચર્ચાના કેન્દ્રસ્થાને છે. ગોચરની જમીનમાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરી અને વહીવટમાં સરકારીતંત્રનો અંકુશ દૂર કરી મનસ્વી રીતે હરાજી મારફતે કરોડો રૂપિયા એકત્રિત કરી સત્તાનો દૂર ઉપયોગ કરવાનો આરોપનો સામનો કરી રહેલા વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને માજી સરપંચ તેમજ હાલના પંચાયતના સભ્ય અમિત પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષભાઈ ગુરુવાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા તાત્કાલિન તલાટી કમ મંત્રી સુધીરભાઈ પટેલને એક અઠવાડિયા પહેલા હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. ગતરોજ સાંજના સમયે જિલ્લા વિકાસ અધિકારીએ વર્તમાન સરપંચ અને માજી સરપંચ તેમજ હાલના પંચાયતના સભ્યને હોદ્દા ઉપર થી દૂર કરવાના હુકમ કરવા પહેલાં બચાવપક્ષ રજૂ કરવા માટે તકો આપવામાં આવી હતી. પરંતુ દરેક સુનાવણીના સમયે આરોપીઓ ગેરહાજર રહ્યાં હતા અને પક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, આ સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતે પંચાયતના વર્તમાન સરપંચ બલદેવભાઈ જશુભાઈ સુરતી, માજી સરપંચ તેમજ હાલના સભ્ય અમિત મણીભાઈ પટેલ અને તત્કાલિન તલાટી કમ મંત્રી સુધીરભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. આરોપનો સામનો કરી રહેલા ત્રણે આરોપીની આગોતરા અરજી સેશન કોર્ટમાં નામંજૂર કરવામાં આવેલી છે. અને રાહત માટે રાજ્યની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હોવાની માહિતી એકત્રિત થઈ રહી છે.