સરદાર પટેલ ઉદ્યાનમાં પ્રસ્થાપિત કરાયેલ પ્રતિમાને છ મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી નૂતનનગરમાં નવનિર્માણ થયેલ ઉદ્યાન બાદ લોકોના આગ્રહ અને રજૂઆતમાં ઉદ્યાનનું નામકરણ સરદાર બાગ જાહેર કરાયું હતું તેમજ બગીચામાં સરદાર પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની માંગણી પાલિકામાં કરવામાં આવી હતી. ઉદ્યાનનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે જે તે સમયે થયું હતું ત્યારે ઉદ્યાનમાં સરદારની પ્રતિમા અંગેની લોકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા પ્રતિમાની વ્યવસ્થા કરી ઉદ્યોગ મધ્યે પ્રસ્થાપિત પણ કરી દીધી છે પરંતુ આજદિન સુધી તેનુ લોકાર્પણ અટવાઈ રહેલ છે.
વાપી નૂતનનગર સ્થિત સરદાર પટેલ ઉદ્યાનમાં લોકલાગણી અને રજૂઆતના પગલે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાલિકાને સુચિત કરેલ તેથી સરદાર પટેલની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી દેવાઈ છે ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગું થઈ ગઈ હતી. તેથી પ્રતિમાનું લોકાર્પણ અટકી જવા પામ્યું હતું. હવે આચારસંહિતા પુરી થયાને મહિનાઓ વિતી જવા છતાં હજુ પણ સરદાર પટેલ મૂર્તિનું લોકાર્પણ અટવાઈ રહ્યું છે. જો ત્વરીત નિર્ણય નહિ લેવાય તો ધરમપુરમાં પુલ લોકાર્પણપહેલાં જ લોકોએ લોકાર્પણ કરી દીધો એવું પુનરાવર્તનના થાય તેનું ધ્યાન પાલિકાએ લેવુ રહ્યું.