(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક થવા પામી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં જંત્રીના ભાવો વધારીને બમણા કરી દેતા મકાન બાંધકામના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડરો અને સામાન્ય વર્ગની ચિંતા વધી જવા પામી હતી. અને જંત્રીના બમણા ભાવ વધારા સાથે વિરોધના સુર ઉઠવા પામ્યાં હતા.
આ દરમ્યાન જંત્રીના ભાવો વધતા સ્ટેમ્પ ડ્યુટી વધી જવાની સ્થિતિ વચ્ચે અત્રેની સબ રજીસ્ટાર કચેરીમાં નવા ભાવો અમલમાં આવ્યા બાદ મંગળવારથી શુક્રવાર સુધીમાં નવા જંત્રીના ભાવ મુજબ 5-જેટલા દસ્તાવેજોની નોંધણી થવા પામી છે. જંત્રીના ભાવ વધારાની ખાસ અસર વર્તાવા પામી ન હોય તેવું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. આ સાથે અગાઉથી સ્ટેમ્પ ખરીદાયેલ હોય તેવા કિસ્સામાં જુના દર મુજબ3 જેટલા દસ્તાવેજોની નોંધણી થવા પામી છે.
છેલ્લા તારીખ 6 થી 10 તારીખ સુધીમાં 4 દિવસમાં જુના અને નવા દર મુજબ ખેરગામ સબ રજીસ્ટાર કચેરીમાં 8 જેટલા દસ્તાવેજોની નોંધણી થવા સાથે સ્ટેમ્પ ડ્યુટી પેટે 170705 અને નોંધણી ફી પેટે રૂ.37900.
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરાતા આખરે તો ખરીદનારના માથે જ ભારણ વધવા પામ્યું છે. અને ઘર જમીન સહિતની મિલકત ખરીદનારાઓ સામાન્ય વ્યક્તિઓનું બજેટ પણ ખોરવાશે. સરકારની આવક વધશે પરંતુ સામાન્ય પ્રજા પર ભારણ વધે તેવી સ્થિતિમાં સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ હવે સરકાર ફેર વિચારણા કરે તેમ લાગતું નથી.