સુચિત વાઢવણ દહાણું વાણિજ્ય બંદર માટે સ્થાનિકોનો કરાય રહ્યો છે વિરોધ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર મનોર-દહાણું વચ્ચે આજે મહારાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકાયો હતો. અહીં બનનાર વાઢવણ વાણિજ્ય બંદરનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તે માટે રસ્તા રોકો આંદોલનની ચિમકી બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી.
દહાણું પાસે વાઢવણમાં નવિન વાણિજ્ય બંદર બનાવવાની જાહેરાત બાદ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ શરૂ થઈ ગયો હતો. આંદોલનકારીઓએ આજે ગુરૂવારે રસ્તા રોકો આંદોલનનું એલાન આપ્યું હતું. હાઈવે બંધ કરવાની અપાયેલી ચિમકી બાદ મહારાષ્ટ્ર પોલીસ એકશનમાં આવી ગઈ હતી. અમદાવાદ-મુંબઈ હાઈવે હાર્ટલાઈન છે. બંધ કે રસ્તા રોકો આંદોલનને લઈ હાઈવે પ્રભાવિત ના થાય એ માટે હાઈવે ઉપર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસની દરમિયાનગીરીને લઈ હાઈવે ટ્રાફિક આવાગમન ઉપર કોઈ ખાસ અસર પડી નહોતી.