આચાર્ય બાળકોને ભણાવવાના બદલે ગામના રાકાજરણમાં રસ લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા મુખ્ય ભાગ ભજવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: ઢોલુમ્બર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ ઈશ્વરભાઈ પટેલ 3-જુલાઈના રોજ સવા દસેક વાગ્યાના અરસામાં ધામધુમા પેલાડ ફળીયા ઢોલુમ્બર ચાર રસ્તા ઉપર જોવા મળતા ઢોલુંમ્બર ગામના પૂર્વ સરપંચ મીઠ્ઠલભાઈએ શાળાનો સમય થઈ ગયેલો હોય વિડીયો ઉતારવાની વાત કરતા બંને વચ્ચે થયેલ વિવાદ મારામારીના બનાવમાં ખેરગામ પોલીસ મથકમાં આ આચાર્ય અને પૂર્વ સરપંચ સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ બાદ શુક્રવારના રોજ ડીડીઓ, ડીપીઇઓ અગ્રવાલ, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, ટીપીઇઓ વિજયભાઈ સહિતના ઢોલુમ્બર પ્રાથમિક શાળામાં જઈ જાત તપાસ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આ શિક્ષકની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી. ઢોલુમ્બર ગામના સરપંચ મિઠ્ઠલભાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આ શિક્ષકનો મુખ્ય ભાગ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.શિક્ષક બાળકોને ભણાવવાના સ્થાને ગામના રાજકારણમાં રચ્યો પચ્યો રહી સભ્યોના ઘરે ઘરે જઈને અવિશ્વાસની દરખાસ્ત માટે સહી કરાવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડીડીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક અસરથી આચાર્યની બદલી માટેની માંગ કરી હતી.
જોકે બાદમાં ડીડીઓ દ્વારા તમામ વર્ગખંડોમાં જઈને અને તમામ દસ્તાવેજોની, દરેક રજૂઆતના મુદ્દાઓ સંદર્ભે બે કલાક લંબાણપૂર્વક ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. અને તપાસના કાગળો સાથે લીધા હતા. જોકે ગ્રામજનો દ્વારા છેલ્લા બે વર્ષથી આચાર્ય સામે અવાર-નવાર લેખિત રજૂઆતો કરાય છે. પરંતુ તેમાં તપાસથી આગળ કોઈ જ કાર્યવાહી આચાર્ય સામે કરાઈ નથી હવે ગુનો દાખલ થયા બાદ ડીડીઓ સહિતના અધિકારીઓ હરકતમાં આવ્યા છે ત્યારે ગ્રામજનોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.