બ્લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતોઃ નાયબ બાગાયત નિયામક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ઉમરગામ તાલુકામાં મરચાની ખેતીમાં બ્લેક થીપસ જીવાતના ઉપદ્રવની તપાસ માટે વલસાડ જિલ્લા બાગાયત ખાતાની કચેરીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં મરચાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સ્થળ મુલાકાત દરમ્યાન મરચાની ખેતીમાં બ્લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતો તેમ છતાં ખેડૂતોને મરચાની ખેતીમાં બ્લેક થીપસ ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટેના પગલાં જણાવ્યા હતા.
નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને જણાવ્યું કે, અન્ય શાકભાજી પાક સાથે પાકની ફેરબદલી કરવી જેનાથી જીવાંત કાયમી રહેણાંક થાય નહી. ગલગોટા કે અગાથીનું આંતરપાકમાં વાવેતર કરવું. વધારે પ્રમાણમાં ઉપદ્રવ જણાય ત્યારે પીળાઅને સફેદ સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો. નીમ ઓઈલ 1000 પીપીએમ (2 મીલી/લી.)નો છંટકાવ કરવો. સંકલિત જીવાત પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો અને કળષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મરચાની ફૂલ અવસ્થાએ સ્પાયનેટોરમ (10 મીલી/10 લી) અથવા ટોલફેન પાયરાઈસ 15 ઈસી 20 મીલી/10 લી. અસરકારક નિયંત્રણ માટે છંટકાવ કરવો. આમ રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપર જણાવેલા પગલા લઈ ખેડૂતો મરચાની ખેતીમાં શરૂઆતથી જ કાળજી લઈ શકે છે એવું વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે.