આઝાદીના 75 વર્ષમાં જે વિકાસ કામો નથી થયા તે તમામ શરૂ કરાવી લક્ષદ્વીપને પણ વિકાસની હરોળમાં મુકવા ભારત સરકારને મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની લક્ષદ્વીપની મુલાકાત પૂર્ણ કરી દમણ આવવા રવાના થયા હતા. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના લકને ચાર ચાંદ લગાવવા અત્યાર સુધી કોઈ કસર બાકી રાખી નથી. જેના ફળસ્વરૂપ આજે લક્ષદ્વીપ પ્રશાસન ભ્રષ્ટાચારમુક્ત ગતિશીલ અને લોકાભિમુખ બની શક્યું છે.
લક્ષદ્વીપના પ્રશાસક તરીકેના અઢી વર્ષના અત્યાર સુધીના કાર્યકાળમાં શ્રી પ્રફુલભાઈ પટેલે આઝાદીના 75 વર્ષમાં જે વિકાસ કામો નથી થયા તે તમામ પૂર્ણ કરાવી લક્ષદ્વીપને પણ વિકાસની હરોળમાં મુકી દીધું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના અઢી વર્ષ દરમિયાન સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લીધી છે અને મુલાકાત દરમિયાન વિકાસના કામોના નિરીક્ષણની સાથે જરૂરી નવા નીતિ-નિયમો પણ અમલમાં મુક્યા છે. જેના કારણે પ્રશાસન અને લોકોમાં અનુશાસનનું વાતાવરણ નિર્માણ કરવા સફળતા પણ મળી છે.પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કવરત્તીમાં સ્કેટિંગ શીખતા નાના ભૂલકાંઓ સાથે થોડો સમય પસાર કરી તેમને જરૂરી પ્રોત્સાહન પણ પુરૂં પાડયું હતું. નાના ભૂલકાંઓની પસંદ-નાપસંદ જાણવાની પણ કોશિષ કરી હતી. તેમણે વિવિધ અધિકારીઓ સાથે લક્ષદ્વીપના પડતર પ્રોજેક્ટ, કાર્યાન્વિત કામો અને ભાવિ યોજનાઓ અંગે જરૂરી મસલત પણ કરી હતી અને આજે તેમણે દમણ આવવા માટે કવરત્તીથી પ્રસ્થાન કર્યું હતું.