ઉતાવળીયો સર્વે સરકારે કરી દીધો પરંતુ સહાય ક્યાંથી કેવી રીતે મળશે તેની જાણ ખેડૂતોને નથી કેટલાક ખેડૂતને ફોર્મ પણ મળ્યા નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
વલસાડ જિલ્લા સહિત પડોશી નવસારી, ડાંગ જિલ્લામાં સતત 10 દિવસ પડેલા મુશળધાર વરસાદે સૌથી વધારે ખાનાખરાબી અને પાયમાલી ખેડૂતોને થઈ છે. માંડ ખેતીનો પ્રારંભ થયો. જરૂરી રોપણી, વાવણી ખેડૂતોએ કરી લીધી. બાદમાં થોડા જ અંતરાલમાં અતિવૃષ્ટિએ માજા મૂકી પરિણામે ખેડૂતોના હજારો હેક્ટર પાકોનુંધોવાણ થયું અને પાક નષ્ટ થઈ ગયા છે. ખેડૂતોને થયેલ નુકશાન અંગે સરકારે વળતર આપવૌ સર્વેની કામગીરી હાથ પણ ધરી દીધી. ઉતાવળીયો સર્વે કરી પણ લેવાયો પરંતુ વળતર ક્યાંથી, કેમ મેળવવું ? તે અંગે કોઈ માર્ગદર્શન ખેડૂતોને મળ્યુ નથી તેમજ કેટલાક ખેડૂતો સુધી વળતર અંગેના ફોર્મ પહોંચ્યા નથી તેમજ સર્વેની કામગીરીથી વંચિત રહ્યા હોવાથી ખેડૂત આલમમાં વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
વલસાડ તેમજ પડોશી નવસારી, ડાંગ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ બાદ સરકારે હાથ ધરાયેલ પાક ધોવાણ સર્વે મુજબ વલસાડ જિલ્લાના 283 ગામોમાં 6348 હેક્ટર પાકનું ધોવાણ થયું છે તે મુજબ ડાંગના 310 ગામોમાં 20807 હેક્ટર અને નવસારી જિલ્લામાં 387 ગામોમાં પાક ધોવાણ થયું છે. આ બાબતનો સર્વે જરૂર થયો પરંતુ આગળનું માર્ગદર્શન ખેડૂતો પાસે નથી. સર્વે અને વળતરની ખુશી છે. લાખોના નુકશાન સામે સરકાર જે કંઈ પણ વળતર આપે તેમાં ખેડૂત રાજી છે પરંતુ આગળની પ્રોસેસથી ખેડૂતો જાણતા નથી. કેટલાક ગામોના ખેડૂતો સુધી હજુ સર્વે પહોંચ્યો પણ નથી અને વળતરના ફોર્મ પણ પહોંચ્યા નથી ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ આ અંગે ગંભીરતા દાખવી જગતના તાતને સહાયરૂપ થાય તેવી માંગણી થઈ રહી છે.