હત્યામાં સામેલ બે આરોપીની કરાયેલી ધરપકડઃ એક સગીર આરોપીને સુરત ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24 : દાદરા નગર હવેલીના દપાડા ગામના એક યુવાન ગુમ થયા હોવાની ફરિયાદ થોડા દિવસ પહેલા રખોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ યુવાનનો કોઈ જ પત્તો નહીં લાગતા એના પરિવારના સભ્યોએ એમના પુત્રનું અપહરણ થયું હોવાની શંકા દર્શાવી એસ.પી.શ્રીને રજૂઆત કરી હતી. આ યુવાનની લાશ એક મહિના બાદ ખડોલી ગામેથી મળી આવી હતી. ત્યારબાદ ઘટના અંગેની તપાસ કરતા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે સાબિત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર દિલીપ જ્ઞાન દોડીયા (ઉ.વ.32) રહેવાસી માનીપાડા-દપાડા, જેઓ ગત 13 જાન્યુઆરીના રોજ એમના ઘર નજીકથી ગુમ થયા હતા. જે સંદર્ભે તેમના પરિવાર દ્વારા ગુમ થવા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને યુવાન દિલીપનું અપહરણ કરવામાં આવેલ હોવાની શંકા પણ વ્યક્ત કરી તે અંગે એસ.પી.શ્રીને રજૂઆત કરી હતી. એસ.પી.શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ દરમ્યાન ગુમ થયેલ દિલીપની લાશગઈકાલે ગુરુવારના રોજ ખડોલીની એક પથ્થરની ખાણમાંથી મળી આવતા ચકચાર મચી હતી.
વધુ તપાસ માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેનો આજે રિપોર્ટ આવતાં યુવાનની હત્યા કરાઈ હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની સખ્તાઈથી પૂછપરછ કરી હતી જેમાં (1)કમલેશ પવલૂશ જેવલીયા-રહેવાસી માનીપાડા દપાડા અને એક સગીર જે પણ રહેવાસી ફરારપાડા-દપાડા. જેઓએ મળી યુવાન દિલીપની હત્યા કરી 13 જાન્યુઆરીના રોજ ખડોલીમાં આવેલ પથ્થરની ખાણમાં લાશ છુપાવી દીધી હોવાનું કબુલ્યુ હતું.
પોલીસે હત્યાની ઘટનામાં ઝડપાયેલ આરોપીઓને કાયદા મુજબ આઇપીસી 302, 201, આર.ડબ્લ્યુ.34 કલમ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર વયના આરોપીને ઓબ્ઝર્વેશન હોમ સુરત ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.