નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી : ખાદીની ખરીદી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આજે તા.2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીની ઉજવણી કાર્યક્રમ વાપી નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણામંત્રી, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ભાજપના હોદ્દેદારો, નગરસેવકો ઉત્સાહભેર જોડાયા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. નાણામંત્રી કનુભાઈદેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વાપીના ગાંધી સર્કલ સ્થિત ગાંધીજી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. બાદમાં ગાંધી ભંડારમાં જઈને ખાદીની ખરીદી કરી હતી. તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીજી સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપતા હતા તે અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપ્યું છે. ગાંધી જયંતી ઉજવણીમાં પાલિકા પ્રમુખ પંકજ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, સી.ઓ. કોમલ ધિનૈયા સહિત નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.