અભિનવ ડેલકરની આગેવાનીમાં સેંકડો યુવાઓએ ભારે ઉત્સાહ સાથે બાઈક રેલી કાઢીઃ આદિવાસી ભવન ઉભરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: પ્રદેશનું સૌથી વિશાળ સંગઠન ધીરે ધીરે તૂટી જશે, વિખેરાઈ જશે તેવો ભય રહેતો હતો પરંતુ લોકસભાની પ્રચંડ જીત અને આજના કાર્યક્રમમાં આટલી મોટી ભીડ અને તમારા ઉત્સાહે સાબિત કરી દીધું કે સ્વ. મોહનભાઈ ડેલકરનું સંગઠન આજે પણ મજબૂત અને અસરકારક રીતે આગળ વધી રહ્યું છે. આ શબ્દો દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આદિવાસી ભવનના પ્રાંગણમાંથી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી પ્રસંગે ઉચ્ચાર્યા હતા.
આદિવાસી વિકાસ સંગઠન દ્વારા આયોજિત આ સંપૂર્ણ કાર્યક્રમ પ્રદેશના યુવા નેતા શ્રી અભિનવ ડેલકરનાદિશા-નિર્દેશમાં યોજાયો હતો. એસ.એસ.આર.કોલેજની બાજુના મેદાનમાંથી મેગા બાઈક રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પૂજાવિધિ કરીને તેમજ આદિવાસી જનનાયક બિરસા મુંડા અને મોહનભાઈ ડેલકરને યાદ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં તારપા નૃત્ય, ઢોલનૃત્ય, તુર નૃત્ય સાથે પરંપરાગત વેશભૂષાઓમાં આદિવાસી યુવાઓએ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અનેક આદિવાસી અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આદિવાસી દિવસની શુભકામના આપતા જણાવ્યું હતું કે, આ પ્રદેશના છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના લોકોના મૂળભૂત અધિકારોને છીનવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સંવૈધાનિક અધિકારો માટે એકમાત્ર વિકલ્પ વિધાનસભા છે જેમાં માટે બધાંએ એકજૂથ થઈ ચળવળ ઉપાડવી પડશે. જળ, જંગલ અને જમીન પર જેઓનો પહેલો અધિકાર છે તેવા આદિવાસીઓને આજે 1989 કરતાં પણ વધારે દયનિય સ્થિતિમાં લાવવાનું કામ કરવામાં આવ્યું છે. પ્રદેશને બચાવવાના આપણી સામે ખૂબ મોટા પડકારો છે. જે આદિવાસી સભ્યતા, સંસ્કૃતિને સ્વ. મોહનભાઈએ ટકાવી રાખી હતી તેને ફરીથી લાવવા આપણે હવેનવી લોકતાંત્રિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. સ્વ. મોહનભાઈ ડેલકર હંમેશા સમાજ અને પ્રદેશને સર્વોપરી રાખતા હતા. આપણે પણ તેઓએ ચિંધેલા માર્ગે આગળ વધવાનું છે. બધાંએ સાથે મળીને તેઓના અધૂરા સપનાને પૂરા કરવાના છે.
શ્રી અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના આદિવાસી યુવાઓ પોતાની સંસ્કૃતિ અને રીતરિવાજોને ટકાવી રાખવાની જવાબદારી ઉપાડી રહ્યાં છે તેવી ખુશી છે. આજે બાઈક રેલીમાં યુવાઓના ઉત્સાહ અને થનગનાહટે ચાર ચાંદ લગાવી દીધાં. આપણે આ પ્રથાને આગળ વધારવાની છે. ડેલકર પરિવાર ઉપર વિશ્વાસ અને ભરોસો જેમ રાખતા આવ્યા છે તેવો જ રાખતાં રહેજો. અમે તમોને નિરાશ નહિ થવા દઈશું.
આ કાર્યક્રમમાં પ્રદેશના ખુણે ખૂણેથી આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, સાથે દરેક સમાજના લોકો પણ આદિવાસીઓના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા.