April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી

  • ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથેતેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલશ્રી

  • રાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનું સન્માન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

  • ડાંગના પ્રજાજનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટેસૌને સહયગી બનવાની કરી અપીલ

  • ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
આહવા, તા. ૨: અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા દેશ-વિદેશના મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.
ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલશ્રીએ આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યપાલશ્રીએ દેશના રાષ્ટ્રપતિપદ ઉપર માન. દ્રૌપદી મુર્મુજીની નિયુક્તિ દેશના આદિવાસી સમાજનું ગૌરવ છે તેમ કહ્યું હતું.
ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભિક્તની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલશ્રીએ આદિવાસી પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક જિલ્લાનું સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડાંગ જિલ્લાના લોકો અને વિશેષ કરીને અહીનાં ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ આધુનિકતાની આંધળી દોટથી અળગા રહીને ડાંગના લોકોએ જંગલનું જતન-સંવર્ધન કર્યું છે તેમ જણાવ્યું હતું. દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું ગૌરવ અપાવતા વડાપ્રધાનશ્રીએ પ્રથમ વર્ષે જ ₹ ૩૨ કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી તેમ ઉમેર્યું હતું. ‘મિલેટ વર્ષ’ નો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી સાથે વિસરાતા ધનધાન્યનું જતન કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
ડાંગના વિકાસ માટે રાજ્ય સરકાર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી રહી છે ત્યારે, વિકાસની સાથે પ્રાકૃતિક અન્ન ઉત્પાદન ડાંગના વિકાસ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની તમામ સરકારોએ વિશેષ કરીને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમાં વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. સ્વાસ્થ્ય સેવાઓમાં પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓનો વ્યાપ વધે તે પણ સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ, પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં રહેલી સંભાવનાઓનો યોગ્ય અભ્યાસ કરી, તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક જીવન શૈલી પ્રાકૃતિક સંશાધનો ઉપર ભાર મુકતાં રાજ્યપાલશ્રીએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવીને દેશના પ્રેરણાસ્ત્રોત બનવાની હિમાયત કરી હતી.
સમાજના તમામ સમુદાયોને વિકાસની મુખ્યધારામાં જોડવા બદલ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવતાં રાજ્યપાલશ્રીએ સૌને સાથે મળીને ડાંગ જિલ્લાના પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે સહયોગી બનવાની અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક જીવનશૈલીને વરેલા ડાંગીજનો સામે વિશ્વના લોકો આશાભરી મીટ માંડી રહ્યા છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર આખા દેશમા ઝેરમુક્ત ખેતી થાય તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત પણ રાજ્યપાલશ્રીએ કરી હતી.
ડાંગની સંસ્કૃતિના જતન સંવર્ધન બદલ રાજ્યપાલશ્રી અને રાજવીશ્રીઓ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકાર ડાંગના દરબારીઓ દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર વિકાસનું વાવેતર કરી રહ્યા છે તેમ વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવી સૌને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.
ડાંગ જિલ્લાને વિશ્વસ્તરે ખ્યાતિ અપાવનારી ઐતિહાસિક ક્ષણ એટલે ડાંગ દરબારનો કાર્યક્રમ, એમ જણાવી ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ડાંગ દરબારનો ઇતિહાસ અને તેની ગરિમા જાળવવા બદલ સમગ્ર વહિવટી તંત્ર અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવી ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલીને બિરદાવી હતી. તેમણે ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે પસંદ કરીને અપાવેલા ગૌરવ બદલ રાજ્યપાલશ્રી અને સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને દંડકશ્રીએ ડાંગ જિલ્લાના ક્રમબદ્ઘ વિકાસની ગાથા પણ આ વેળાએ વર્ણવી હતી. રાજ્ય સરકારના તાજેતરના બજેટમાં કરાયેલી જોગવાઇને લીધે રાજ્યના દરેક વર્ગનો સમુચિત વિકાસ થશે એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ડાંગના આ પોતીકા ઉત્સવને વર્ષોવર્ષ ગરિમા પ્રદાન કરવા બદલ સરકારશ્રી પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. સ્થાનિક જનપ્રતિનિધિઓએ ડાંગના દરબારીઓ સહિત સૌ પ્રજાજનોને ‘શિમગા મહોત્સવ’ ની શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે, આહવાને આંગણે પધારેલા પ્રાકૃતિક ડાંગના શિલ્પી એવા રાજ્યપાલશ્રીનું જિલ્લા પ્રશાસનવતી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગએ સ્મૃતિચિન્હ-બળદ-ગાડું અર્પણ કરી અભિવાદન કર્યું હતુ.
આ ઉપરાંત અહીં પધારેલા નાયબ દંડક-ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ડાંગ દરબાર જેમના માટે આયોજિત થાય છે તેવા ડાંગના માજી રાજવીશ્રીઓ અને મહાનુભાવોને ‘શ્રીઅન્ન’ની ટોપલી તથા પ્રાકૃતિક ફ્રુટ બાસ્કેટ સ્મૃતિચિહ્નરૂપે અર્પણ કરી હતી. મહાનુભાવોએ આ ‘પોષણ ટોપલી’ જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓને ગિફ્ટ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતાં ડાંગ પ્રશાસનના વડા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગએ સૌને ડાંગ દરબારમાં આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલી જનમેદનીને અહીં ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિત દેશના અન્ય પ્રદેશના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, સ્થાનિક ધારાસભ્ય-નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અગ્રણી નાગરિકો, વ્યકિત વિશેષ, મહાનુભાવો, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ કરી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને વિજયભાઈ ખાંભુએ સેવાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજ્યપાલશ્રીના હસ્તે માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ અર્પણ કરાઈ હતી. રંગ ઉપવનના રંગમંચ ઉપરથી રાષ્ટ્રગાન સાથે ડાંગ દરબારના રંગારંગ ઉદ્ઘાટન કાર્યક્રમનું સમાપન થયું હતું. રાજ્યપાલશ્રીએ ડાંગના રાજવીશ્રીઓ સાથે ભોજન લઈ ડાંગની પરંપરા નિભાવી હતી.

*રાજવીશ્રીઓનું સન્માન*

ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે ડાંગના માજી રાજવીશ્રીઓનું સન્માન કરાયું હતું. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલશ્રીએ તેમનું અદકેરૂ સન્માન કર્યુ હતું. પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલશ્રીને ધનુષ-બાણ અર્પણ કરી અને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
રાજવીશ્રીઓને પોલિટિકલ પેંશન સહિત પરંપરાગત પાન સોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.

*શોભાયાત્રા*

ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમાં નિકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યું હતું.

*રાજકીય સાલિયાણું*

સને ૨૦૨૩ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ) ને વાર્ષિક રૂ.૨,૩૨,૬૫૦/-, (૨) શ્રી છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ) ને વાર્ષિક રૂ.૧,૭૫,૬૬૬/-, (૩) શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ) ને રૂ.૧,૪૭,૫૫૩/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ) ને રૂ.૧,૫૮,૩૮૬/- તથા (૫) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ) ને રૂ.૧,૯૧,૨૪૬/- સહિત નવ નાયકો અને ૪૪૩ ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ.૬૩,૩૪,૦૭૩ મળી, કુલ રૂપિયા ૭૨ લાખ, ૩૯ હજાર, ૫૭૪નું પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું.

Related posts

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment