(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્યોની નિમણૂક, વિકાસના કામો સમયસર ન થવા, પંચાયતની કામગીરી બાબતે અસભ્યતા પૂર્વકનું વર્તન સહિતના મુદ્દાઓ જણાવી આઠ જેટલા સભ્યો પૈકી સાત જેટલા વોર્ડ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં સરપંચ દ્વારા નિયત સમય મર્યાદામાં સામાન્ય સભા ન યોજવામાં આવતા ટીડીઓ ચેતનભાઈ દેસાઈ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચને સોમવારના રોજ બપોરે 12 કલાકે વિસ્તરણ અધિકારી ભારતીબેનની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મામલે સામાન્ય સભા યોજવાનો હુકમ ટીડીઓ દ્વારા કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાવા પામ્યું છે. જોકે અવિશ્વાસની દરખાસ્ત પસાર થશે કે પછી સૂરસૂરિયું થશે તેનો ફેંસલો સોમવારના રોજ થશે.