આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી પ્રદેશના કેટલાક પડતર પ્રોજેક્ટોમાં નવી ગતિ આવવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિહી, તા.02 : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લઈ પ્રદેશ સાથે સંકળાયેલા વિવિધ અગત્યના મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, આરોગ્ય સુવિધા અને આરોગ્ય શિક્ષણના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે આકાશને આંબતી પ્રગતિ કરી છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ અને મરવડ હોસ્પિટલના નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે છે. સેલવાસની નમો મેડિકલ કોલેજની અદ્યતન બિલ્ડીંગ કેમ્પસનું કામ પણ પૂર્ણ થઈ ચુક્યુ છે.
સંઘપ્રદેશની નમો મેડિકલ કોલેજને એઈમ્સની તર્જ ઉપર વિકસાવવાનો પ્રસ્તાવ પણ વિચારાધીન છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી કેટલાક પડતર પ્રોજેક્ટોને નવી ગતિ મળશે એવી આશા પ્રબળ બની છે.