જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કામગીરી સાથે જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૩: વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતિ આપવા માટે વિવિધ આરોગ્ય વિષયક પ્રવૃતિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે .વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનું સૂત્ર “આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખમય વિકલ્પ બનાવીશું’’ હતું.
આ નિમિત્તે બે તબક્કામાં તા. ૨૭ જૂન થી તા. ૧૦ જુલાઈ સુધી દંપતી સંપર્ક કરી ઉજવણી કરવામાં આવી હતી અને હાલમાં તા.૧૧ જુલાઈ થી ૨૪ જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કાયમી તેમજ બિન કાયમી પદ્ધતિઓ અપનાવે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે. તા.૧૧-૦૭-૨૦૨૩ના રોજ જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્ર તથા શહેરી પ્રા.આ.કેન્દ્ર ખાતે આરોગ્યલક્ષી અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ધરમપુર તાલુકા મથક ખાતે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત આરોગ્ય સ્ટાફ તથા આશા બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આજ રોજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે એન.એસ.વી (પુરુષ નસબંધી) ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકાના ૮, ધરમપુર તાલુકાના ૪ આમ કુલ ૧૨ ભાઈઓએ પુરૂષ નસબંધી ઓપરેશન કરાવી આ યોજનાનો લાભ લીધો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વલસાડ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ધરમપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યકમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસર ધરમપુર, કપરાડા હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયુ હતું. આ કાર્યકમનું સુચારૂ આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ D.I.E.C.O. પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.