(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી લોકોને આવવા જવામાં સરળતા પડે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા ધરમપુર એસટી ડેપોથી તા. 4 માર્ચ થી 7 માર્ચ 2023 સુધી વધારાની 14 એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સુથારપાડાના આ મેળાની બસો એક્સપ્રેસ ભાડાથી દોડાવવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાના પ્રમાણમાં વધારાની એસટી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકશ્રી દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.