ભારતભરમાં 120 લાખ યુનિટ રક્તદાનની સામે ફક્ત 80 લાખ યુનિટ મળતું હોય સમગ્ર ભારતમાં રક્તની અછત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05: સમગ્ર ભારતભરમાં રક્તની અછત વર્તાઈ રહી છે. આ અછત ન વર્તાય અને રક્તને લઈ કોઈએ પોતાના પ્રાણ ન ગુમાવવા પડે એવા ઉમદા હેતુસર કલકત્તાના એક સામાન્ય પરિવારમાંથી આવતા જયદેબ રાઉતે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના સૂત્રને અનુસરી હર ઘર રક્તદાતા, ઘર ઘર રક્તદાતા સુત્રને સાર્થક કરવા 1લી ઓક્ટોબર 2022 ના રોજ કલકત્તાથી રક્ત ક્રાંતિ સાયકલ યાત્રાની શરૂઆત કરી એક વર્ષમાં સમગ્ર ભારતમાં 25 હજાર કિલોમીટરની યાત્રા કરી દરેક ભારતીય રક્તદાન માટે આગળ આવે અને સ્વેચ્છાએ રક્તદાન કરતા થાય એ માટેના ઉમદા મિશન સાથે યાત્રાની શરૂઆત કરી કલકત્તા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ, રાજસ્થાન ફરી ગુજરાતમાં પ્રવેશી આજરોજ પારડી ખાતે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેન્ક ખાતે આવી પહોંચ્યા હતા.
માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેન્કના ટ્રસ્ટી ડોક્ટર એમ.એમ. કુરેશી , દિનેશભાઈશાહ તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ રકત ક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્વાગત અને સન્માન કર્યું હતું.
સામાન્ય પરિવારમાંથી આવતા અને છેલ્લા છ મહિનાથી પોતાનું ઘર તથા પરિવાર છોડી એક ઉમદા હેતુસર નીકળેલા જયદેબ રાઉતે જણાવ્યું હતું કે, આ યાત્રામાં મને લોકોનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને અત્યારે સુધી કોઈ પણ જાતની તકલીફ આવી નથી.
પારડી ખાતે છેલ્લા 24 વર્ષથી રક્તદાન અને બ્લડ બેન્ક સાથે સંકળાયેલા પારડી હોસ્પિટલના ડોક્ટર એમએમ કુરેશી આ પ્રસંગે જયદેબ ભાઈ રાઉતની રક્તદાન અંગેની મોહિમને અભિનંદન આપી જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં 120 લાખ યુનિટ રક્તની જરુરિયાત હોય તેની સામે ફક્ત 80 લાખ યુનિટ રક્ત જ મેળવી શકીએ છીએ જેથી રક્તની ખૂબ અછત વર્તાય છે. જરૂરિયાત પ્રમાણે રક્તદાન મળી રહે છે પરંતુ સ્વેચ્છાએ રક્તદાન થતું નથી. જો ભારતભરના દરેક ઘરોમાંથી રક્તદાન મળતું થાય અને દર ત્રણ મહિને સ્વેચ્છાએ લોકો રક્તદાન કરે તો રક્તની અછત રહેશે નહીં અને બીજા દેશોમાં પણ આપણે રક્ત મોકલી શકીશું.
આજના આ પ્રસંગે માનવ આરોગ્ય સેવા સંચાલિત બ્લડ બેન્કના ટ્રસ્ટી ડોક્ટર એમ. એમ. કુરેશી, દિનેશભાઈ શાહ, બ્લડ અને એમ્બ્યુલન્સ સેવા માટે જાણીતા બીનવાડાના યોગેશ પટેલ ઉર્ફે યોગી,સમાજસેવક સંજયભાઈ બારીયા, કલ્પેશભાઈ પરમાર, પ્રફુલભાઈ લાડ, અન્ય મહાનુભાવો તથા બ્લડ બેન્કનો સમગ્ર સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહી જયદેબભાઈને એમના કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.