મુખ્ય અતિથિ તરીકે આયકર વિભાગ મુંબઈના પૂર્વ કમિશ્નર
સુબચ્ચન રામ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.08: રમાબાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ અને સેલવાસ દ્વારા ત્યાગમૂર્તિ રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની સંયુક્ત જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમનું આયોજન ઉદ્યોગનગરના વી.આઈ.ઍ. હોલ વાપી ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 7મી ફેબ્રુઆરી, 2024ના બુધવારે વાપી ચાર રસ્તા નજીક વી.આઈ.એ. હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે મુંબઈ વિભાગના આવક વેરા કમિશનર શ્રી સુબચ્ચન રામ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રીમતી રતનાબેન હોરા, નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર શ્રી આર.જે. પટેલ, શ્રી રવજીભાઈ પટેલ, વલસાડના શ્રી જીતુભાઈ પટેલ, શ્રીમતી હંસાબેન પટેલ, શ્રીમતી લલિતાબેન પટેલ, શ્રીમતી સારિકા માનભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ બુદ્ધવંદના ગ્રહણ કરીને રમાબાઈ મહિલા બ્રિગેડના સભ્યોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
આ પ્રસંગે અથર્વ પબ્લિક સ્કૂલ-ચણોદ, સિદ્ધનાથ પબ્લિક સ્કૂલ-ચણોદ તથા સેલવાસ અને દમણની સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થી બાળકો દ્વારા પ્રબોધન ગ્રુપ ડાન્સની પ્રસ્તુતિ કરી હતી.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રહેલા શ્રી સુબચ્ચન રામએ પ્રાસંગિક વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વવિભૂતિ, ભારત રત્ન ડૉ. બાબાસાહબ આંબેડકરની વિચારધારા અને રમાબાઈ, રાજમાતા જીજાઉ, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ દ્વારા કરાયેલા દેશહિતના કાર્યોનો સ્વીકાર કરીને શિક્ષિત બનીને માનવતા માટે વિશ્વવિભૂતિઓના માર્ગે ચાલવા હાકલ કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા રમાબાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ અને સેલવાસની મહિલા સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભીમરાવ કટકે, શ્રીમતી અનિતા ઘોડે તથા શ્રીમતી શાલિની તેલંગે સંયુક્ત રીતે કર્યું હતું.