(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી ઈન્ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર સેલવાસ ખાતે દિવ્યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તરફથી એડીઆઈપી સ્કીમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીઓના હસ્તે કુત્રિમ પગ, વ્હિલચેર, ટ્રાઈસિકલ, સહાયક ઉપકરણ, ક્લીપર, ઘોડી, શ્રવણ યંત્ર, અંધજન માટે સ્ટીક અને સ્માર્ટ કેન, માનસિક રીતે પછાત બાળકો માટે શિક્ષણ સબંધિત શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ અવસરે દિવ્યાંગજનોને 52 સાધન સામગ્રી આપવામાં આવી હતી અને એની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સેલવાસના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, આઈઆરસીએસ-ડીડીઆરસી અને રેડક્રોસના સુપ્રિટેન્ડન્ટ ડો.જ્યોતિર્મય સુર સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજના સમારોહમાં સેલવાસના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે અને શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલે એમના આશીર્વચનથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
દિવ્યાંગભાઈ-બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક યંત્ર અને ઉપકરણ રેડક્રોસ ડીસીબીલીટી રિહેબિલિટેશન સેન્ટરમાં બનાવવામાં આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓનો ઓળખ, તપાસ, વિકલાંગતા પ્રમાણપત્ર અને ઓળખપત્ર અને સારવારની પણ સુવિધા ઉપલબ્ધ છે.