મહિલાઓને સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત રહેવા લેખિકા અને વિચારક કાજલ ઓઝા વૈદ્યએ આપેલી સલાહનું પાલન કરવા દમણવાડા ગ્રા.પં.ની સલાહકાર સમિતિના સભ્ય જોશિલાબેન બારીએ કરેલો અનુરોધ
આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર શર્મિલાબેન પરમારે મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવવાની સાથે પોતાના વ્યસ્ત સમયમાંથી પોતાના માટે સમય ફાળવી યોગ જેવી પ્રવૃત્તિ કરવા પણ આપેલી સલાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12: દમણવાડા ગ્રામ પંચાયતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત વિસ્તારની મહિલાઓ દ્વારા જ ગ્રામસભા સંચાલિત કરાઈ હતી.
સંઘપ્રદેશ પ્રશાસનમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર તરીકે કાર્યરત દમણવાડાના શ્રીમતી શર્મિલાબેન પરમારના અધ્યક્ષ સ્થાને આયોજીત મહિલા ગ્રામસભામાં દમણવાડાના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, પંચાયત વિસ્તારના નિવૃત્ત હેડ માસ્તર શ્રીમતી અરૂણાબેન પરમાર, પંચાયતના પૂર્વ ઉપ સરપંચ શ્રીમતી કલ્પનાબેન હળપતિ, પંચાયતની સલાહકાર સમિતિના સભ્ય શ્રીમતી જોશિલાબેન બારી,પંચાયતના પૂર્વ સભ્ય અને કર્મયોગી શ્રીમતી સુશિલાબેન દમણિયા સ્ટેજ ઉપર બિરાજમાન રહ્યા હતા.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મહિલા ગ્રામસભાની પૂર્વ ભૂમિકા અને પ્રસ્તાવના સમજાવી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા થઈ રહેલા પ્રયાસની માહિતી આપી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રે ખુલેલા અનેક દ્વારની પણ જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલની રૂપરેખા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દમણના કેટલાક ઉદ્યોગોના માલિકો તેમની ધર્મપત્ની માટે મહિલા ડ્રાઈવરોની શોધ કરી રહ્યા છે. તેથી જેઓ ડ્રાઈવિંગ શીખવા માંગતા હોય તેવી મહિલાઓને પંચાયત દ્વારા સી.એસ.આર.ના માધ્યમથી વ્યવસ્થા કરી આપવાનું આયોજન હોવાની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સીમતિના સભ્ય શ્રીમતી જોશિલાબેન બારીએ તાજેતરમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે આયોજીત પ્રસિદ્ધ લેખિકા અને વિચારક શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત રહેવા આપેલા સંદેશનો ઉલ્લેખકરતાં તેમણે દરેક મહિલાઓને પોતાના આરોગ્યની કાળજી રાખવા ટકોર કરી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે મહિલાઓને પોતાના વ્યસ્ત સમયમાંથી યોગ માટે પણ સમય ફાળવવા સલાહ આપી હતી. તેમણે શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું હતું અને પ્રશાસન દ્વારા શરૂ કરાયેલ વિવિધ અભ્યાસક્રમોનો લાભ લેવા મહિલાઓને તેમના સંતાનો માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે નિવૃત્ત આચાર્યા શ્રીમતી અરૂણાબેન પરમારે પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું ખુબ જ કુશળતાથી સંચાલન શ્રીમતી પુષ્પાબેન રાઠોડ-ગોસાવીએ કર્યું હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, શ્રીમતી કાજલ પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.