-
પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પદાધિકારીઓની મળેલી બેઠક
-
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14મી એપ્રિલના રોજ દાનહ અને દમણ-દીવના દરેક ગામ અને ફળિયે ફળિયે ઉજવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાની તૈયારીઃ ઓબીસી મોર્ચા પ્રદેશ અધ્યક્ષ હરિશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચાના પ્રદેશ પદાધિકારીઓની એક બેઠક આજે પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે મળી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તથા ઓબીસી મોર્ચા આસામ રાજ્યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચાના પ્રમુખ શ્રી હરિશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજીત આજની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓબીસી સમુદાયના હિત માટે થયેલા ઐતિહાસિક કામોની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓબીસી સમાજના યુવાનોને શૈક્ષણિક શિષ્યવૃત્તિની સાથે મેડિકલ અને એન્જિનિયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમોમાં આરક્ષણ પણ આપવામાં આવીરહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય સમાજના મધ્યમ વર્ગના પછાત લોકોના વિકાસ માટે મોદી સરકાર સંકલપબધ્ધ છે. તેમણે ઓબીસી મોર્ચાના પદાધિકારીઓને સમાજના પ્રત્યેક ઘર સુધી પહોંચી તેમના કલ્યાણ માટે બનેલી યોજનાઓની માહિતી પહોંચાડવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઓબીસી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને આસામ રાજ્યના ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કાર્યક્રમની જાણકારી આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલથી 14મી એપ્રિલ સુધી ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘર ચલો’ અભિયાન ચલાવવાના લીધેલા નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનનો આરંભ 6 એપ્રિલના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર આ અભિયાનનું નેતૃત્વ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપ સંસદીય બોર્ડના સભ્ય રાજ્યસભાના સાંસદ ડો. કે. લક્ષ્મણ કરી રહ્યા છે. તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઓબીસી મોર્ચાએ પણ આ દરેક કાર્યક્રમો ખુબ જ ખંત અને અસરકારક રીતે કરવા સલાહ આપી હતી. તેમણે 11મી એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલે જયંતિને પણ ગામે ગામ મનાવવાજણાવ્યું હતું.
શ્રી વિશાલભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલાંની સરકારો ઓબીસી સમાજને ફક્ત એક વોટ બેંકના રૂપથી ઉપયોગ કરતી હતી. ભાજપની ગઠિત મોદી સરકારે 27મંત્રીઓને ઓબીસી સમાજમાંથી બનાવ્યા છે. આ ઓબીસી સમાજને આપવામાં આવેલું સન્માન છે.
આજની બેઠકમાં ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘર ચલો’ અભિયાન ખુબ જ અસરકારક રીતે પાર પાડવામાં આવશે. તેમણે બંધારણ નિર્માતા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14મી એપ્રિલના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ગામ અને ફળિયે ફળિયે ઉજવવાની પણ તૈયારી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઓબીસી મોર્ચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા સહિત પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.