-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સેલવાસમાં નમો મેડિકલ કોલેજ તથા અનેક પ્રકલ્પોના ઉદ્ઘાટન અને શિલાન્યાસની સંભાવના
-
દમણમાં દેવકા બીચ રોડ ઉપર વિરાટ રોડ શોના આયોજનની વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.31 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી એપ્રિલના બીજા પખવાડિયામાં દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી વહેતી થતાં પ્રદેશના લોકોમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહની લાગણી છવાઈ જવા પામી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વધાવવા માટે સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ અધીરૂં બન્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી એપ્રિલના બીજા પખવાડિયામાં દાદરા નગર હવેલીના સાયલી ખાતે નવનિર્મિત અદ્યતન નમો મેડિકલ કોલેજ સહિત અનેક પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરનારા હોવાથી સમગ્ર પ્રદેશ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રૂબરૂ એક ઝલક પામવા થનગની રહ્યો છે.
દમણમાં નવનિર્મિત દમણ-દેવકા બીચ રોડ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોજાનારા રોડ શોને આખરી ઓપ આપવા માટે પ્રશાસન પણ સક્રિય બન્યું છેઅને આજે દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે આ મુદ્દે એક બેઠક યોજી ચર્ચા-વિચારણાં પણ કરી હતી.
આગામી 3જી એપ્રિલના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના સંદર્ભમાં પ્રદેશના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સેવા સંગઠનના પદાધિકારીઓ તેમજ પ્રદેશના આગેવાનો સાથે યોજાનારી સમીક્ષા બેઠકની પણ મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
આજે યોજાયેલ બેઠકમાં તમામ પંચાયત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને દરેક ગ્રામવાસીઓના આંગણને ચોખ્ખાં તથા સાથિયા પાડી દીપાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી છેલ્લા 8-9 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ કર્યો છે અને પ્રદેશનું નામ ફક્ત રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગુંજતું થયું છે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઋણ સ્વીકાર માટે ખાસ તત્પર બન્યા છે.